Get The App

વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ 1 - image

Vadodara : રાજ્ય સરકારના પરિવહન વિભાગ દ્વારા 10 વર્ષ કે તેથી જૂની ઓટોરિક્ષાઓ પર વધારેલા દંડને લઈને ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ આ નિયમ 15 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષાઓ માટે અમલમાં હતો. જેને હવે ઘટાડીને 10 દસ વર્ષનો કરાયો છે. આ ઉપરાંત ગત ડિસેમ્બરથી અમલમાં આવેલા નિયમ મુજબ છેલ્લા ચાર વર્ષનો પ્રતિદિન રૂ.50 મુજબ ચાર વર્ષના રૂ.72 હજાર દંડ ભરવો રીક્ષા ચાલકો માટે પરિવારનું ભરણ પોષણ કરવું અસહ્ય બની જતા દંડ પાછો ખેંચવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં 15 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષાઓ પર દંડનીય કાર્યવાહી કરવાનો નિયમ રાજ્યના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પરિવહન વિભાગ દ્વારા નવો નિયમ બનાવ્યો છે. જેમાં દસ વર્ષ કે તેથી જૂની અને રજીસ્ટર વિનાની ઓટો રીક્ષા પર પ્રતિદિન રૂપિયા 50નો દંડ ફટકારવાનું નક્કી કરાયું છે. આ નિર્ણય ગત 2025ના ડિસેમ્બરથી દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. જેમાં ખાસ બાબત એ છે કે, આ દંડ છેલ્લા ચાર વર્ષ મુજબ પ્રતિવર્ષ રૂપિયા 18 હજાર મુજબ ચાર વર્ષના રૂપિયા 72 હજાર એક સાથે વસૂલવા નિયમ બનાવ્યો છે. પરિણામે રીક્ષા ચાલકોને તેમના પરિવારજનોનું ભરણપોષણ કરવું અસહ્ય બન્યું છે. રીક્ષા ચાલકો પર આ મોટું સંકટ હોવાથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. 

આ અંગે ઓટો રીક્ષા ચાલક યુનિયનના પ્રમુખ સહિત અન્ય રીક્ષા ચાલકો સાથે મળીને કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરીને આ નિયમ નવો નિયમ તાત્કાલિક ધોરણે પરત ખેંચવા માંગણી કરી છે અન્યથા સમગ્ર રાજ્યમાં રીક્ષા ચાલકો સામેના આ નવા નિયમ અંગે રાજ્યભરમાં રીક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હવે સરકાર દ્વારા આ નવા નિયમ સંદર્ભે કેવો નિર્ણય લેવાય છે. એ જોવું રહ્યું. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પરિવહન વિભાગ દ્વારા અગાઉના 15 વર્ષ જૂની રીક્ષા અંગે લેવાતા દંડ બાબતમાં ફેરફાર કરીને હવે નવો નિયમ 10 વર્ષ કે તેથી વધુ જુની રીક્ષાઓ અંગે પ્રતિદિન રૂપિયા 50 અને છેલ્લા ચાર વર્ષનો રૂપિયા 72 હજાર દંડ વસૂલવાનું નક્કી કર્યું હોવાના કારણે રીક્ષા ચાલકોના સેકડો પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. ચાલકો સરકારે પાછળથી લાગુ કરાયેલા દંડને રદ કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધ થશે.