ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામા, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે, તેમ છતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામા પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસમાં બે રાજીનામા
નોંધનીય છે કે, બંનેએ રાજીનામું આપતાં જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.
કોંગ્રેસમાં ભારે અસંતોષ
મળતી માહિતી મુજબ, વિજય બારૈયા અને વિજય જોશીએ પાર્ટીમાંથી રાજીનામા ધરી દીધા છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારાઓએ અવગણનાનો આરોપ લગાવ્યો છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરતના પાંડેસરામાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા જતા પાલિકાની ટીમ પર હુમલો
પાર્ટી પર લગાવ્યા આરોપ
આ આરોપોની વચ્ચે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલાં હજુ વધુ રાજીનામા પડી શકે તેવી શક્યતા છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાનો સાધતાં પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.








