કાર્યકરોની બસ પાર્કિંગ માટે રોડ બંધ કરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ
મુખ્યમંત્રીનો વટ પાડવામાં સુરતની પ્રજાની હાલાકી
Updated: Nov 24th, 2021
ભાજપના સંમેલન માટે મહાવિર હોસ્પીટલ સામેની રેલીંગની ગ્રીલ કાપી નાંખી
સુરત,
દિવાળી સ્નેહ મિલનના નામે ભાજપના નેતાઓએ કરેલા શક્તિ પ્રદર્શનમાં હજારો સુરતીઓની હાલાકી થઈ હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો વટ પાડવા માટે સુરતની પ્રજાએ બપોરની મુશ્કેલી વધી હતી. ભાજપના કાર્યક્રમના કારણે સંખ્યાબંધ રોડ બંધ કરી દેતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
2022 વિધાનસભાની ચુંટણી માટે શક્તિ પ્રદર્શન કરવા માટે ભાજપે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં કોવિડના નિયમોના તો ધજાગરા ઉડાવી દેવામા ંઆવ્યા હતા. તેની સાથે લોકો ભેગા કરવા માટે ભાજપે સોસાયટી અને વોર્ડમાં બસ મુકી હતી. આ બસના પાર્કિંગ માટે જગ્યા પુરતી ન હોવાથી ટ્રાફિકથી ધમધમતાં કેટલાક રસ્તા બંધ કરીને બસ પાર્કિંગ કરી દેવામા ંઆવી હતી. શહેરના મુખ્ય માર્ગમાનો ઉધના દરવાજાથી અઠવાગેટ જતો રોડ બંધ કરી દેવાતા નોકરી ધંધાએથી આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ રોડ બંધ થવાથી ઉધના દરવાજા અને અઠવાગેટ સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો. રસ્તો બંધ હોવાન ાકારણે લોકો વાહન લઈ નાના ગલીના રસ્તાઓ પરથી પસાર થતાં કોટ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હતો.
આ ઉપરાંત લાબા સમયથી લોકો જુના આર.ટી.ઓ પાસે મુકેલી આડાશ દુર કરવા માટેની માગણી કરતાં હતા પરંતુ પાલિકા અને પોલીસ જુદા જુદા કારણ આપી આ રેલીંગ દુર કરતી ન હતી પરંતુ ભાજપના સંમેલનના કારણે આ રેલીંગ દુર કરીને વાહન વ્યવહાર શરૃ કરી દીધો હતો. આવી જ રીતે લોકોની સલામતી માટે મહાવિર હોસ્પીટલ અને વનિતા વિશ્રામ વચ્ચે ઉંચી રેલીંગ બનાવવામા ંઆવી હતી. પરંતુ આ રેલીંગ તાત્કાલિક કાપીને ભાજપના કાર્યકરોને આવવા જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. ભાજપના વટના કારણે આજે સાંજ બાદ નોકરી ધંધાએથી આવતાં લોકોની મુશ્કેલી વધતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોની આવી હાલાકી સામે પાલિકાનો વિપક્ષ કે કોંગ્રેસે સોશ્યલ મિડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.