ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક બાદ તરૃણી સાથે દુષ્કર્મમાં ત્રણ યુવાનને 10 વર્ષની સખ્તકેદ
સગીર વયના બે કિશોર સાથે મળી ત્રણેય આરોપીએ તરૃણીનો એડીટેડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી વાંરવાર કુકર્મ કર્યું હતું
પિતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં સાનીયાખાન નામની ફેક આઇડી ઓપરેટ કરતા બે કિશોર બાદ ત્રણ યુવાનોની ફેર્ન્ડ રીકવેસ્ટ મળતા સ્વીકારી હતી
Updated: Nov 15th, 2021
સુરત
સગીર વયના બે કિશોર સાથે મળી ત્રણેય આરોપીએ તરૃણીનો એડીટેડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી વાંરવાર કુકર્મ કર્યું હતું
ત્રણેક વર્ષ પહેલાં ઈન્ટાગ્રામ પર ફેક આઈડી ધરાવતી તરૃણીના સંપર્કમાં આવીને પ્રોફાઈલ ફોટાને એડીટ કરી ન્યુડ બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને સુરતના બે કિશોરના મેળાપિપણામાં તરૃણી સાથે એકથી વધુવાર બળાત્કાર ગુજારનાર ત્રણ પુખ્ત આરોપી યુવાનોને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કારના ગુનામાં 10 વર્ષની સખ્તકેદ, રૃ.10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદીકેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ધો.10 માં ભણતી 15 વર્ષ 9 માસની વય ધરાવતી તરૃણી મધ્યપ્રદેશથી આવેલી ભાણેજ સાથે ડીસેમ્બર માસમાં રજામાં રાજસ્થાન ફરવા ગઈ હતી. તેણે પિતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર સાનીયાખાન નામે ફેક આઇ.ડી ઓપન કરતા સુરતના કિશોરે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ વધુ એક કિશોર અને ત્રણ પુખ્ત વયના યુવાનોની ફ્રેન્ડ રીકવેસ્ટ મળતા તે સ્વીકારાતા તમામ તરૃણી સાથે ચેટીંગ કરતા હતા. દરમિયાન એક કિશોરે તરૃણીનો ફોટો એપ પરથી ડાઉનલોડ કરી તેને એડિટ કરીને ન્યુડ બનાવી તરૃણીના પિતાને મોકલવાની ધમકી આપી હતી. ત્યારબાદ તરૃણીને આરોપીઓએ માર્ચ-2018 થી તા.16-8-18ના દરમિયાન જુદા જુદા જગ્યાએ લઈ જઈને એકથી વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો.
જેથી તરૃણીએ બે સગીર વયના કિશોર, ત્રણ પુખ્ત આરોપીઓ પૈકી 21 વર્ષીય અજય ઉર્ફે અજ્જુ રતનલાલ ખટીક (રે.દક્ષેશ્વર નગર, પાંડેસરા. મૂળ ભીલવાડા, રાજસ્થાન), 24 વર્ષીય સાહિલ રાજમણી સિંગ રાજપુત(રે.હરીનગ-3 ઉધના. મૂળ જોનપુર, યુ.પી) તથા 24 વર્ષીય સોમેશ્વર ઉર્ફે બલ્લુ ઈન્દ્રમણી તિવારી (રે.બીઆરસી,ઉધના. મૂળ રેવા, મધ્યપ્રદેશ) વિરુધ્ધ ઉધના પોલીસમાં આઈટી એક્ટ,પોક્સો એક્ટ તથા ધાકધમકી આપી બળાત્કાર ગુજારવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
ગુનાનો પ્રારંભ થયો હતો તે કાયદાની સંઘર્ષમાં આવેલા બંને કિશોરોની અટકાયત કરીને ઓબ્ઝર્વેશન હોમમાં તથા અન્ય પુખ્ત આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી લાજપોર જેલભેગા કર્યા હતા. આજે પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ આ કેસની અંતિમ સુનાવણી થઇ હતી. ફરિયાદપક્ષે એપીપી અરવિંદ વસોયા તથા વિશાલ એલ.ફળદની રજૂઆતો બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને આઈટી એક્ટના ભંગના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યા હતા. જ્યારે અન્ય તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કારના ગુનામાં 10 વર્ષની સખ્તકેદ તથા દંડની સજા અને ભોગ બનનાર તરૃણીને અપીલ પીરીયડ બાદ રૃ.1.50 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.
કોર્ટે આરોપીઓ 19 થી 22 વર્ષની યુવાન વયના હોઈ મહત્તમ સજા ન કરી
કોર્ટે
જણાવ્યું હતું કે હાલના કેસમાં બનાવ સમયે ભોગ બનનારની વય 15 વર્ષ અને 9 માસની
પુરવાર થઈ છે. જ્યારે આરોપીઓ પણ 19 અને 22 વર્ષના યુવાન હોઈ તેમનું આખું જીવન બાકી
છે. જેથી કાયદામાં જણાવેલી મહત્તમ સજા ન કરતા કોર્ટે બળાત્કારના ગુનામાં 10 વર્ષ
કરતા ઓછી સજા કરવાનું કોઈ કારણ કોર્ટ પાસે ઉપલબ્ધ નથી. જ્યારે જરૃર કરતા વધુ દયા
બતાવવામાં આવે ત્યારે બહુજન સમાજનું હિત જોખમાય છે.