અમદાવાદ: ઘાટલોડિયા ગોપાલનગર પફ બનાવવાની ફેકટરીમાં ગેસ ગળતર થતા ત્રણ કર્મચારીઓના મોત
Updated: Sep 14th, 2021
અમદાવાદ,તા.14 સપ્ટેમ્બર 2021,મંગળવાર
ઘાટલોડિયા વિસ્તારમાં આજે સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા 3 કર્મચારીઓના મોત થવાની દુઃખદ ઘટના ઘટી છે. આ કરુણ ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે પહોંચી હતી. ઉપરાંત પોલીસ વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાક્રમની વાત કરીયે તો ઘાટલોડિયા વિસ્તારમાં કેકે નગરમાં આવેલા ગોપાલનગર સર્વોદય સ્કૂલની સામે યુ.કે.એસ. નામની પફ બનાવતા કારખાનામાં આજે મંગળવાર 14 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે સવા નવ વાગ્યાની આસપાસ ગેસ લિકેજ થયો હતો. આ ગેસ લિકેજના કારણે ત્યાં કામ કરતા 3 ત્રણ કર્મચારીઓના મોત થયા. આ ઘટનામાં સંચલાક દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે.
ગેસ લિકેજના કારણે જે કર્મચારીઓના દુઃખદ મોત થયા છે તેમના નામ અસ્લમ– ઉંમર 20 વર્ષ, ઇબ્રાહિમ – ઉંમર 40 વર્ષ અને હસન – ઉંમર 15 વર્ષ છે. ગેસ લિકેજથી કર્મચારીઓના મોત થયાની દુઃખદ ઘટના બન્યાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી. તો ઘાટલોડિયા વિસ્તારની પોલીસ વિભાગે પણ વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનામાં બેરકદારી દાખવનાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.