Gujarat

ગીર અભયારણ્યમાં સિંહ દર્શન શરૂ થતાં જ ત્રણ માસની પરમિટ બૂક !

By GS Team
16 Oct 20192 mins read
This article was originally published on 16 Oct 2019
ગીર અભયારણ્યમાં સિંહ દર્શન શરૂ થતાં જ ત્રણ માસની પરમિટ બૂક !

જૂનાગઢ, તા.16 ઓક્ટોમ્બર 2019, બુધવાર

આજે ૧૬ ઓક્ટો.થી ગીર અભયારણ્ય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું આશ્ચર્યજનક રીતે એડવાન્સ બુકીંગ થઈ ગયું છે.  આથી આ વખતે અનેક પ્રવાસીઓને સિંહ દર્શનથી વંચિત રહેવુ પડશે. ઓનલાઈન પરમિટનું બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું એની જાણ પણ લોકોને કરવામાં આવતી નથી. વધુ લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે શીફ્ટ અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઈએ.

૧૫ જૂનથી ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચાર માસ બાદ આજે ૧૬ ઓક્ટો.ના સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું. આજે વહેલી સવારે પ્રથમ ટ્રીપમાં સિંહદર્શન માટે આવેલા પર્યટકોનું મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી સિંહદર્શન શરૂ થતા આજે ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા.

આજથી સિંહદર્શન શરૂ થતા આગામી ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થઈ ગયું છે.

સાસણના ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુવિધા માટે વેબસાઈટને અપડેટ કરવામાં આવી છે. આ વખતે ક્યુઆર કોડ સ્કેન કરવાથી પ્રવાસીઓની માહિતી ઉપલબ્ધ થશે. તેથી પ્રવાસીઓના સમયની બચત થશે. શિયાળામાં સવારે ૬-૪૫થી ૯-૪૫નો સમય રહેશે. જ્યારે ઉનાળામાં માર્ચથી જૂન દરમ્યાન ૩થી ૬ના બદલે ૪થી ૭નો સમય રહેશે. જંગલમાં પ્લાસ્ટીકની બોટલ તથા પેકેટ લઈ જવા પર પ્રતિબંધ છે. પર્યટકોને જીપ્સીમાં જ પાણીની સુવિધા મળશે. પ્લાસ્ટીક જંગલમાં ન જાય તે માટે નાકા પર તપાસ પણ કરવામાં આવશે.