Get The App

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો 1 - image

Jamnagar Theft Case : જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી.ની પોલીસ ટીમે એક આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈનીના સુચન મુજબ હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. તથા ટીમ પેટ્રોલિંગ દરમિયાન અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા સક્રિય હતા. દરમિયાન પોલીસ ટીમે બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી મુજબ તા.02/05/2026ના રોજ સવારે 9:00થી સાંજે 5:00 વાગ્યા દરમિયાન યાદવનગર આહીર સમાજ નજીક આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરી તોડી ચોરી કરી હતી. ફરીયાદી નારણભાઈ હમીરભાઈ કંડોરીયાના મકાનમાંથી રોકડા રૂ.8,30,000 તથા સોનાની વીંટી રૂ.30,000 મળી કુલ રૂ.8,60,000ના મુદામાલની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે શંકાસ્પદ શની ઉર્ફે જેસીંગભાઈ કોળી (ઉંમર 19, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર)ને દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી રોકડા રૂ.7,35,000 તથા એક સોનાની વીંટી રૂ.30,000 મળી કુલ રૂ.7,65,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે. આરોપીનો અગાઉ પણ ગુન્હાહિત ઈતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.