'પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..' અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat News: પ્રાણપ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહેતાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ હવે પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. ઠક્કરબાપા નગરમાં ગટર સહિત અન્ય સમસ્યા ન ઉકેલાતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ નારાબાજી કરી હતી. એટલું જ નહીં, રોષે ભરાયેલાં લોકોએ ધારાસભ્યને રોકડુ પરખાવ્યું હતું કે, જો પ્રશ્ન નહીં ઉકેલાય તો ચૂંટણીમાં બરોબરનો જવાબ આપીશું.
ભાજપના ધારાસભ્યને ચીમકી: પ્રશ્ન નહીં ઉકેલાય તો ચૂંટણીમાં જવાબ આપીશું
ભાજપના શાસનમાં પ્રજાલક્ષી કામો થતાં નથી જેના કારણે લોકો ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓથી નારાજ છે. થોડાક દિવસો પહેલાં જ શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલા પણ સ્થાનિકોની અડફેડે ચડ્યાં હતાં. તેમણે પણ લોકોની ખરીખોટી સાંભળવી પડી હતી. આ અગાઉ દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ પણ જનાક્રોશનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી
મંગળવારે (9 ડિસેમ્બર) ભાજપના મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાને પણ લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ હતું. સ્થાનિકોનું કહેવુ હતું કે, ઠક્કરબાપા નગર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો તો દેખાતા નથી. વર્ષો જૂની ગટરલાઇન હોવા છતાંય બદલાઇ નથી. આ ઉપરાંત રોડ-રસ્તા સહિત અન્ય પ્રશ્નો ઉકેલવા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેટરોને જાણે રસ જ રહ્યો નથી. ધારાસભ્ય કંચનબેને લોકોની રજૂઆત સાંભળી પ્રશ્ન ઉકેલવા હૈયાધારણ આપી હતી. પણ સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લઇ એવી ચિમકી ઉચ્ચારીકે, માત્ર હૈયાધારણથી કામ ચાલશે નહીં, કામ કરવુ પડશે. જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં જવાબ આપીશું.









