Get The App

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત 1 - image


Accident In Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શુક્રવારની (13મી ફેબ્રુઆરી) સવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર બલેશ્વર પાટિયા નજીક એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષા ફંગોળાઈને ઊંધી વળી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકને સામાન્ય ઈજા પહોંચી છે. પલસાણા પોલીસે બંને મૃતક મહિલાઓના શવને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાઈવે પર અકસ્માતને પગલે સર્જાયેલી ટ્રાફિક જામની સ્થિતિને પલસાણા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હળવી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખાસ પેકેજ

ફરાર વાહનચાલકની શોધખોળ

હિટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર આવેલા વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી ફરાર વાહન અને તેના ચાલકને વહેલી તકે ઝડપી પાડી શકાય.