'ઈડીએ તેની શક્તિનો દુરુપયોગ કર્યો..' કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમકોર્ટના પૂર્વ જજે ઊઠાવ્યાં સવાલ
Updated: Apr 5th, 2024
Image : Twitter |
Madan B Lokur Arvind Kejriwal ED Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન બી લોકુરે EDની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.
શું બોલ્યાં પૂર્વ જસ્ટિસ મદન બી. લોકુર
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કે EDએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ કેસ 2020માં શરૂ થયો હતો. આ કેસને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મનીષ સિસોદિયા આટલા લાંબા સમયથી જેલમાં છે. પૂર્વ જસ્ટિસ લોકુરે પૂછ્યું કે એવી કઈ બાબત છે જે EDને આ કેસનો ઉકેલ લાવવાથી રોકી રહી છે.
ઈડીને પૂછ્યાં ધારદાર સવાલ....
જસ્ટિસ મદન બી લોકુરે ઈડીને ઘેરતાં ધારદાર સવાલો પૂછ્યાં હતાં. તેમણે કહ્યું કે જો ED કહે છે કે તેની પાસે આ કેસમાં તમામ પુરાવા છે તો તે ચાર્જશીટ દાખલ કરવામાં કેમ વિલંબ કરી રહી છે. અરવિંદ કેજરીવાલની કયા આધારે ધરપકડ કરવામાં આવી? સવાલોનો મારો ચલાવ્યાં બાદ પૂર્વ જસ્ટિસ લોકુરે દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં આરોપીઓને જામીન આપવાની હિમાયત કરી હતી.