વર્ષે 200થી 250 કરોડના ઉઠમણાંના કેસ પોલીસ ચોપડે નોંધાય છે: ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉઠમણા રોકવા ઇકોનોમીક સેલ બન્યા બાદ હવે SIT રચવા રજૂઆત
Updated: Nov 25th, 2021
- ગૃહ રાજયમંત્રી સમક્ષ નવી માંગણીઃ ટેક્સટાઇલ માર્કેટ માટે અલગ પોલીસ સ્ટેશનની જૂની માંગણઈ માટે પણ વિચારણા થાય તેવી શક્યતા
સુરત
ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં વેપાર-ધંધામાં થતા રોજબરોજના લાખ્ખો-કરોડોના ઉઠમણા અટકાવવા અને ચીટરો પર લગામ કસવા માટે એસઆઇટી રચવાની માંગ સાથે ફોગવા અને વેપારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.
દેશ-દુનિયામાં ટેક્સટાઇલ ક્ષેત્રે જાણીતા સુરત શહેરમાં મોટી સંખ્યામાં કાપડના કારખાના અને માર્કેટો આવેલી છે. ટેકસટાઇલ હબ ગણાતા સુરતમાં વેપાર ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી અવિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની પાછળનું કારણ છે રોજબરોજ લાખ્ખો-કરોડો રૂપિયામાં થતા ઉઠમણા અને ઠગાઇના કિસ્સાઓ છે. કેટલાક લેભાગુ માર્કેટમાં સારી શાખ છે તેવું આભાસી ચિત્ર ઉભું કરી લાખ્ખો-કરોડોમાં ઉઠમણું કરી ભુગર્ભમાં ઉતરી જાય છે. જયારે કેટલાક ભેજાબાજોની આખે આખી ટોળકી ભાડાની દુકાનમાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ભુગર્ભમાં ઉતરી ગઇ હોવાનું ભૂતકાળમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક અંદાજ મુજબ વર્ષે દહાડે અંદાજે 200થી 250 કરોડ રૂપિયાના ઉઠમણા અને ઠગાઇના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે. જેને પગલે આજે ફોગવા અને વેપારીઓએ અઠવાલાઇન્સ સ્થિત સરકીટ હાઉસમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મુલાકાત કરી ટેક્સટાઇલ ક્ષેત્રે થતા ઉઠમણા અને ઠગાઇના કિસ્સા અટકાવવા એસઆઇટી (સ્પેશ્યિલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઇકોનોમીક્સ પ્રોટેક્શન સેલ રજૂ કરવા અને ટેક્સટાઇલ માર્કેટ માટે અલગથી પોલીસ સ્ટેશન બનાવવાની માંગણી કરી હતી. જે પૈકી હાલમાં ઇકોનોમીક્સ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે.