મુસ્તફા જો મહેશ બની પ્રેમ કરશે તો કડક કાર્યવાહી કરાશે : ગૃહ રાજ્યમંત્રી
e-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમમાંહર્ષ સંઘવીએ કહ્યું, લવ જેહાદ અંગે ફરિયાદ મળશે તો પગલાં ભરાશે
Updated: Aug 5th, 2022
- e-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમમાંહર્ષ સંઘવીએ કહ્યું, લવ જેહાદ અંગે ફરિયાદ મળશે તો પગલાં ભરાશે
સુરત, : ગુજરાત પોલીસની ઈ-એફઆઈઆર એપ્લીકેશન અંગે યોજાયેલા જનજાગૃતિના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે મુસ્તફા જો મહેશ બની પ્રેમ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો લવ જેહાદ અંગે અમને ફરિયાદ મળશે તો કડક પગલાં ભરાશે.
ગુજરાત પોલીસે તાજેતરમાં શરૂ કરેલી ઈ-એફઆઈઆર એપ્લીકેશન અંગે લોકો માહિતગાર થાય તે માટે પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવે છે. ઈ-એફઆઈઆર એપ્લીકેશનની કાર્યપદ્ધતિ, અરજી પ્રક્રિયા, ફોલોઅપની રીતિથી માહિતગાર કરવા શહેરના સીટીલાઈટ વિસ્તારના અગ્રસેન ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્યાં હાજર વિવિધ સમાજના લોકોને લવ જેહાદ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રેમની વ્યાખ્યા શુદ્ધ વ્યાખ્યા છે, કોઈ નામ બદલીને સમાજની ભોળી છોકરીને ફસાવવાની કોશિશ કરે તે પ્રેમ નહીં કહેવાય. પ્રેમનો હક તમામનો છે પણ સાચી ઓળખથી કરી શકાય.પ્રેમ શબ્દને બદનામ કરશો તો તેને છોડવામાં નહીં આવે.
તેમણે જણાવ્યું હતું કે મુસ્તફા જો મહેશ બનીને કે મહેશ બીજું નામ ધારણ કરીને પ્રેમ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો લવ જેહાદ અંગે અમને ફરિયાદ મળશે તો કડક પગલાં ભરાશે. આ સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે.ગુજરાતના ગરબા અને નવરાત્રીમાં અમારી શ્રદ્ધા છે. કોમર્શીયલ ગરબા આયોજનો ઉપર જીએસટી લગાડયો છે. શ્રદ્ધા, સંસ્કૃતિ અને મોંઘા આયોજનો અલગ અલગ વિષય છે.