Get The App

અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ્થાનિકોનો આક્રોશ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ્થાનિકોનો આક્રોશ 1 - image


Zundal Highway Cut Protest : અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે નજીક પાંચમી ફેબ્રુઆરીની મોડી રાતે સ્થાનિકોએ વિરોધ કરતા 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ડિવાઈડર કટ છેલ્લા 15 દિવસથી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ  છે. આ કટ બંધ થતા ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા વાહન ચાલકોને પોતાના ઘરે પહોંચવા માટે પાંચેક કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડી રહ્યો છે. લાંબા સમયની હાલાકી અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘દાદાગીરી નહીં ચલેગી’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાત્રે વિરોધ કરતા હાઇવે જામ

એસપી રિંગ રોડ પર ગઈકાલે મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી રોડ પર બેસીને વિરોધ કરી રહેલા લોકોને પોલીસે સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમયે થયેલા આ વિરોધને કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નરહરિ અમીને કટ બંધ કરવા રજુઆત કરી હતી

મળતી માહિતી મુજબ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનની રજૂઆતના પગલે AUDA દ્વારા એસ.પી. રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકમાં સાંસદ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ સ્થળે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. લોકહિત અને સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ આડશને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

AUDA એ કહ્યું રોડ મોટો બનશે

AUDAના ડેપ્યુટી એન્જિનિયર સંજય પટેલે જણાવ્યું હતું કે, હિલ્લોક હોટલ પાસેનો કટ સાંસદ નરહરિ અમીનની રજૂઆત અને AMCની સંકલન સમિતિમાં થયેલી ચર્ચાઓ બાદ બંધ કરાયો છે. ત્યાં અકસ્માત થવાની શક્યતા હોવાથી અને ટ્રાફિકની સમસ્યાને કારણે આ નિર્ણય લેવાયો છે. અગાઉ શીલજ અને શેલાવાળો કટ બંધ કરવાથી ટ્રાફિકનો પ્રશ્ન હલ થયો હતો, તેવી જ રજૂઆત આ કટ બાબતે પણ કરાઈ હતી.

સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

ડેપ્યુટી એન્જિનિયરે વધુમાં કહ્યું કે, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે હાલના 3 મીટર બાય 4 મીટરના નાના નાળાને મોટું કરીને 12 મીટર બાય 4.5 મીટરનું બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ નવું સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કાર જેવા નાના વાહનો ત્યાંથી સરળતાથી પસાર થઈ શકશે. જ્યારે રિંગરોડ બન્યો ત્યારે ત્યાં માત્ર ખેતરો અને જંગલ હતા, પરંતુ છેલ્લા 20 વર્ષમાં અમદાવાદનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો હોવાથી હવે મોટા સ્ટ્રક્ચરની જરૂરિયાત ઊભી થઈ છે.

12 મહિને આવશે સમસ્યાનો ઉકેલ

આ નવું નાળું તૈયાર થતા હજુ અંદાજે 6થી 12 મહિનાનો સમય લાગી શકે છે, ત્યાં સુધી મોટા વાહનોએ ઝુંડાલ બ્રિજ સુધી જઈને ડાયવર્ઝન લેવું પડશે. રિંગરોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થતા હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકમાં અડચણ ન આવે તે રીતે આયોજન કરવું જરૂરી છે. રિંગરોડના ડેવલપમેન્ટના ટેન્ડરો અપાઈ ગયા છે અને આગામી બે વર્ષમાં આખો રિંગરોડ સર્વિસ રોડ સાથે 12થી 14 લેનનો બનાવીને ઝીરો લેવલ પર લાવી દેવામાં આવશે.