Get The App

પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 1 - image


Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં રામોલના રહેવાસી 30 વર્ષીય લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું મૃત્યુ થયું છે. લોરેન્સ બે અઠવાડિયા પહેલા પિતાનું અવસાન થતાં અમદાવાદ પરત ફર્યો હતો. જોકે, પિતાના મૃત્યુને મહિનો પણ નહતો થયો અને લોરેન્સનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ મોત થયું છે. 

લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતો હતો

મળતી માહિતી મુજબ, લોરેન્સ પરિવારનો એકમાત્ર દીકરો હતો અને છેલ્લા દોઢ વર્ષથી તે લંડનમાં રહેતો હતો. અહીં તે ઉચ્ચ શિક્ષણ સાથે નોકરી કરી રહ્યો હતો. તે પોતાની સાથે પત્ની આયુષીને પણ લંડન લઈ ગયો હતો. બંને ત્યાં વિદેશમાં ભવિષ્ય બનાવવાના સપના જોતા હતા અને પરિવારને પણ ટૂંક સમયમાં લંડન બોલાવી લેવાની યોજના હતી.

આ પણ વાંચોઃ પતિનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી, ઈન્દોરની વહુનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત

પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 2 - image
લોરેન્સનું ઘર

એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં સર્જાઈ દુર્ઘટના

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, લોરેન્સ 31 મેના દિવસે અમદાવાદ પહોંચ્યો હતો અને પિતાની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. લોરેન્સના પિતાનું મૃત્યુ 29 મેના દિવસે થયું હતું. જોકે, પિતાના મૃત્યુના 15 દિવસ બાદ પરિવારે ઘરની બીજી એક મહત્ત્વની વ્યક્તિ ગુમાવવી પડી હતી. ગુરુવારે લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં લોરેન્સનું તેમાં મૃત્યુ થયું હતું. લોરેન્સે ફ્લાઇટ ટેક ઑફ થાય તેની થોડીવાર પહેલાં જ વીડિયો કૉલ કર્યો હતો. જોકે, પરિવારને બહુ પાછળથી આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. 

પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 3 - image

આ પણ વાંચોઃ દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી

પિતાના મોતના 15 દિવસ બાદ દીકરાનું અકાળે મોત

લોરેન્સની માતાએ જણાવ્યું કે, પતિના મોતના દુઃખથી માંડ હું ઉભરી રહી હતી, ત્યાં મારો દીકરો મારી પાસેથી છીનવાઈ ગયો. પારિવારિક સંબંધોથી બંધાયેલો અને ઊંચી મહત્ત્વકાંક્ષા ધરાવતો મારો દીકરો પળવારમાં છીનવાઈ ગયો. હજુ તો અમે એક દુઃખમાંથી પૂરા બહાર પણ નથી આવ્યા ત્યાં અકાળે લોરેન્સના મોતની ખબરથી અમે બધા ડઘાઈ ગયા છીએ. આખોય પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

 

Tags :