દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી
Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.
મારી આંખો સામે બધું નષ્ટ થઈ ગયું
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.
હું જે બાજુ બેઠો હતો, તે હિસ્સો જ અથડાયો
આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધું જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ...
વિશ્વાસ તેના ભાઈ સાથે જઈ રહ્યો હતો લંડન
વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતા. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હૉસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે.