પતિનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી, ઈન્દોરની વહુનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
Ahmedabad Plane Crashed: અમદાવાદના વિમાન અકસ્માતમં ઈન્દોરના હોરા પરિવારની વહુ હરપ્રીત કૌર હોરાનું મૃત્યુ થયું છે. હરપ્રીત પોતાના પતિ રૉબી હોરાને મળવા લંડન જઈ રહી હતી, જે ત્યાં ક્લાઉડ આર્કિટેક્ટના પદ પર કાર્યરત છે. 16 જૂને રૉબીનો જન્મદિવસ હોવાના કારણે હરપ્રીત પહેલા જ લંડન જવા નીકળી ગઈ હતી. પરંતુ, આ અકસ્માત તેમના પરિવાર માટે કાળ બન્યો. આ ઘટનાથી હોરા પરિવાર અને આખા ઇન્દોરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
જન્મદિવસના કારણે વહેલા જઈ રહી હતી હરપ્રીત
હરપ્રીત કૌર થોડા દિવસ પહેલાં પોતાની માતાને મળવા લંડનથી અમદાવાદ આવી હતી. તેનો મૂળ પ્લાન 19 જૂને લંડન જવાનો હતો પરંતુ, પતિ રૉબીએ 16 જૂને જન્મદિવસ હોવાના કારણે તેણે 12 જૂને જ એર ઈન્ડિયાની ફ્લાઇટથી મુસાફરી કરી. ગુરૂવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં હરપ્રીતનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
હોરા પરિવારમાં શોકની લાગણી છવાઈ
હરપ્રીતના સસરા હરજીત સિંહ હોરા, મોટા સસરા જસબીર સિંહ હોરા અને કાકા સસરા રાજેન્દ્ર સિંહ હોરા સહિત આખો પરિવાર આ અકસ્માત બાદ હતાશ છે. પરિવાર રડી-રડીને બેહાલ થઈ ગયો છે.
અકસ્માતની તપાસ શરૂ
અમદાવાદ વિમાન અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તંત્ર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.