કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી

Gujarat Scam: ગુજરાતમાં શુક્રવારે (17 ઓક્ટોબર) મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા. આ ફેરફારોનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે, ત્રણેક મંત્રીઓના કારનામાને લીધે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ હતી. કૌભાંડ અને વિવાદને લીધે ત્રણેય મંત્રીઓની ખુરશી છિનવાઈ હતી. બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારને વિવાદો જ ભરખી ગયાં.
આ પણ વાંચોઃ દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન
બચુ ખાબડને કેમ પડતા મૂકાયા?
દાહોદ જિલ્લામાં ગરીબ આદિવાસીને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટીરિયલ્સ સપ્લાય કરીને મંત્રી બચુ ખાબડના પુત્રોએ લાખો-કરોડોની કમાણી કરી હતી. છેલ્લાં દસેક વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યુ હતુ. આખરે પાપનો ધડો ફૂટતાં વિપક્ષે હંગામો મચાવતા ભાજપ સરકારની આબરુ ધોવાઈ હતી. વાત એટલી હદે વકરી હતી કે, બચુ ખાબડને સચિવાલયમાં જ નહીં, સરકારી કાર્યક્રમમાં નહીં આવવા સૂચના અપાઈ હતી.
મુકેશ પટેલના દીકરાનું કૌભાંડમાં નામ
આ જ પ્રમાણે, ખૂબ ચર્ચિત બોગસ હથિયારના લાઇસન્સને લઈને પણ સરકાર કઠેડામાં ઉભી થઈ ગઈ હતી કેમ કે, ખુદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે જ નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી રિવોલ્વરનું લાઇસન્સ મેળવ્યુ હતું. આ ઉપરાંત વિજ સબ સ્ટેશનની જગ્યામાં જમીન એનએ કરાવવાના કૌભાંડમાં પણ મુકેશ પટેલ સામે આંગળી ચિંધવામાં આવી હતી. આ બધા કારણોસર તેમને મંત્રીપદેથી પડતા મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ
BZ કૌભાંડમાં પૂર્વ મંત્રીની સંડોવણી
કરોડોનું ઉઠમણું કરનારાં બીઝેડ કૌભાંડનો રેલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો કેમકે, મુખ્ય સૂત્રધાર સાથે મંત્રીપુત્રની મીલીભગત હોવાનું બહાર આવ્યું હતું. પોન્ઝી સ્કિમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીપુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટુ ફંડ આપ્યું હોવાનો આરોપ મૂકાયો હતો. આમ, આ ત્રણેય મંત્રીઓને વિવાદો ભરખી ગયા હતાં.