Get The App

પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ 1 - image

- હત્યાને અકસ્માતમાં ખપાવવા લાશ સેવાલિયા હાઈવે પર ફેંકી હતી

- બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા નિલેશે પૂજાને ધક્કો મારતા ગંભીર ઈજાથી મોત નિપજતા પ્લાન ઘડયો

નડિયાદ : સેવાલિયા હાઈવે પર સ્વામિનારાયણ મંદિર પાસેથી ગત ૧૨ ફેબુ્રઆરીના રોજ શંકાસ્પદ હાલતમાં મળી આવેલી પૂજા પટેલ નામની પરિણીતાની લાશના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પ્રથમ દ્રષ્ટિએ હાઈવે પર અકસ્માત સર્જાયો હોય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં આ બનાવ અકસ્માત નહીં પણ ઠંડા કલેજે થયેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસમાં સંડોવાયેલા પ્રેમી નિલેશ પરમારને ઝડપી પાડયો છે. મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેમાં થયેલા ઝઘડાને કારણે આવેશમાં આવી આ હત્યા કરાઈ હોવાની કબૂલાત આરોપીએ કરી છે.

સેવાલિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા હાઈવે પરથી ૧૨ ફેબુ્રઆરીના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પૂજા પટેલ તરીકે થઈ હતી. શરૂઆતમાં આ બનાવ કોઈ અજાણ્યા વાહનની ટક્કરે થયેલો અકસ્માત હોય તેમ લાગતું હતું. જોકે, ઘટનાસ્થળની સ્થિતિ અને મૃતદેહ પરના ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી કે આ સામાન્ય અકસ્માત નથી. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતકના કોલ ડિટેલ્સ અને જે-તે સમયના લોકેશનના આધારે નિલેશ પરમારનું નામ સામે આવ્યું હતું. 

પોલીસે નિલેશને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના અકસ્માત નહીં પણ હત્યા હોવાનું સ્વીકારી લીધું હતું. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, મૃતક પૂજા પટેલ અને આરોપી નિલેશ પરમાર વચ્ચે પ્રેમસંબંધ હતો. બનાવના દિવસે બંને સેવાલિયામાં જલારામ મંદિરની સામે આવેલી એક ખાનગી મિલકતમાં મળ્યા હતા. અહીં કોઈ અંગત બાબતને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો હતો કે નિલેશે આવેશમાં આવી જઈ પૂજાને જોરથી ધક્કો માર્યો હતો. જેના કારણે પૂજા નીચે પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. પ્રેમિકાનું મોત થતા નિલેશ ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરે તેણે લાશનો નિકાલ કરવાનો પ્લાન ઘડયો હતો. તેણે મૃતદેહને પોતાની અલ્ટો કારમાં મૂકી દીધો હતો અને સ્વામિનારાયણ મંદિર પાસેના હાઈવે પર અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો. જેથી લોકો અને પોલીસ આને અકસ્માત સમજે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેનો આ પ્લાન સફળ થયો નહીં. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.