Get The App

UPIની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ, એમ.એસ. યુનિ.ના પ્રોફેસરનું રિસર્ચ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
UPIની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ, એમ.એસ. યુનિ.ના પ્રોફેસરનું રિસર્ચ 1 - image


Digital Currency: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનો ડિજિટલ કરન્સી (ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપિયા)નો પ્રયોગ યુપીઆઈ(યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતા સામે ટકી શકે તેમ નથી અને તે નિષ્ફળ ગયો છે. આ તારણ એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ વિભાગના પ્રોફેસર મનોજ પરમારે પોતાના રિસર્ચ પેપરમાં રજૂ કર્યું છે.

'ઈમ્પેકટ ઑફ આરબીઆઈસ ડિજિટલ રુપી ઓન ટ્રેડિશન બેન્કિંગ સિસ્ટમ ઈન ઈન્ડિયા' વિષય પરના આ રિસર્ચ પેપરને તામિલનાડુના ચેન્નાઈ ખાતે યોજાયેલી એક નેશનલ કોન્ફરન્સમાં શ્રેષ્ઠ રિસર્ચ પેપરનો એવોર્ડ મળ્યો છે. 

આ પણ વાંચોઃ SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત

ડિજિટલ કરન્સી થકી નાણાંકીય વ્યવહારો ઘટ્યા

મનોજ પરમારનું કહેવું છે કે, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના પગલે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયામાં લેવડ-દેવડ કરવાના હેતુથી તેમજ ઘરઆંગણે રોકડ પરની નિર્ભરતા ઓછી કરવા માટે ઈ-રૂપિયો (હોલસેલ) અને ઈ-રૂપિયો (રિટેલ) એમ બે પ્રકારે ડિજિટલ કરન્સી લોન્ચ કરી હતી. જોકે, યુપીઆઈના વર્ચસ્વ સામે આ પ્રયોગ લાંબો ચાલી શકે તેમ નથી. જેમ કે આજે દર મહિને 11 અબજ અને રોજના 30 કરોડ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ થકી થાય છે. જેનું કુલ મુલ્ય 17 લાખ કરોડ રૂપિયા છે. તેની સામે સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ કરન્સી સાથે 40 લાખથી વધારે વેપારીઓ જોડાયા છે પણ તેના થકી થતા ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે. 2023માં એક તબક્કે ડિજિટલ કરન્સીના 10 લાખ ટ્રાન્ઝેક્શન થતા હતા અને હાલમાં રોજ ડિજિટલ કરન્સી થકી માત્ર એક લાખ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જેનું કુલ મુલ્ય માત્ર 323 કરોડ રુપિયા છે. તેની સામે ભારતમાં 35 લાખ કરોડનું રોકડ ચલણ ફરે છે. આમ ડિજિટલ કરન્સી થકી થતા નાણાંકીય વ્યવહારો વધવાની જગ્યાએ ઘટી રહ્યા છે. લોકોમાં પણ ડિજિટલ કરન્સી વધારે જાગૃત નથી.

પોતાનો ધંધો ગુમાવવો પડે તે બીકે બેન્કો ડિજિટલ કરન્સીને પ્રમોટ કરતી નથી

બેન્કોની નિષ્ક્રિયતા પર મનોજ પરમારનું કહેવું છે કે, ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કેશ બેક જેવું પ્રોત્સાહન આપતી સ્કીમ અમલમાં નથી. તેને લઈને જાગૃતિનો પણ અભાવ છે. ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 19 ટકા લોકોને ડિજિટલ કરન્સી અંગે જાણકારી છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે

ડિજિટલ કરન્સીના વ્યવહાર માટે બેન્ક એકાઉન્ટની જરુર નથી. ડિજિટલ કરન્સીની લેવડ દેવડ ઓફલાઈન મોડમાં પણ થઈ શકે છે. પરંતુ તેની સામે લોકોને વ્યાજ પણ મળતું નથી. આ ઉપરાંત આ રકમની લેવડ-દેવડ રિઝર્વ બેન્ક થકી જ થતી હોવાથી પરંપરાગત બેન્કો પણ તેને પ્રમોટ કરી રહી નથી. કારણ કે, ડિજિટલ કરન્સીનું ચલણ વધે તો બેન્કોને પોતાનો ધંધો ગુમાવવો પડે તેમ છે. રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી માટે જાગૃતિ આવે તેવા પ્રયાસો જાતે કરવા પડે તેમ છે. આ જ સ્થિતિ રહી તો ડિજિટલ કરન્સી બહું જલ્દી જનમાનસમાંથી ભૂલાઈ જાય તો નવાઈ નહીં હોય.

શું છે ડિજિટલ કરન્સી?

ડિજિટલ કરન્સી દેશની રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી કરન્સી છે. જે ચલણી નોટો અને સિક્કા જેવી માન્યતા ધરાવે છે પણ તે સંપૂર્ણ પણે ડિજિટલ સ્વરૂપમાં છે. ભારતની ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપિયો ડિજિટલ વોલેટમાં રાખી શકાય છે. મોબાઇલ એપ ડાઉનલોડ કર્યા બાદ બેન્ક એકાઉન્ટ કેવાયસી વગર પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે, સબસિડીનો લાભ આપવા માટે. જોકે, તેના પર વ્યાજ મળતું નથી. સરકારે રોકડ પર આધાર ઘટાડવા અને સુરક્ષિત નાણાંકીય લેવડ-દેવડ કરવાના આશયથી આ કરન્સી લોન્ચ કરવામાં આવી હતી.

Tags :