ચૈતર વસાવાની રિમાન્ડ-જામીન અરજી રદ, AAPના MLAને વડોદરા સેન્ટ્રલ જેલ લઈ જવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chaitar Vasava Case: દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે(6 જુલાઈ) તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જોકે, નીચલી કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી છે. નર્મદામાં કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહિ તેને પગલે ચૈતર વસાવાને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચૈતરનું મેડિકલ ચેકઅપ કરાયું છે.
જામીન અને રિમાન્ડ અરજી ફગાવી
મળતી માહિતી મુજબ, રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે. હાલ, ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. સોમવારે (7 જુલાઈ) એ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે.
કારણ વગર ગંભીર કલમો લગાવાઈ: ગોપાલ ઈટાલિયા
દેડીયાપાડાના ધારાસભ્યની મુશ્કેલી વધી છે. ત્યારે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ રાજપીપલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલો કરી હતી અને જામીન પણ માગ્યા હતા. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, 'ચૈતર વસાવાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દા લખ્યા હતા, જેના આધારે પોલીસે પાંચ દિવસની રિમાન્ડ માગવાની અરજી આપી હતી. જેની સામે સંયુક્ત રીતે અમે ત્રણ વકીલોએ દલીલ કરી હતી. ત્યારબાદ પોલીસની રિમાન્ડ અરજીને નામંજૂર કરાઈ છે. કારણ વગર ગંભીર કલમો લગાવાઈ છે. જેને લઈને તેને કાયદા અને કોર્ટની પ્રક્રિયામાં ફસાવી શકાય અને નામ બદનામ કરી શકાય. ભાજપના જ કેટલાક લોકો ગુનેગાર છે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.'
પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
નોંધનીય છે કે, ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું. જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. હકીકતમાં, પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં" તેમણે ઉમેર્યું હતું કે, "અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે." પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.
ચોંકાવનારી વાત એ જોવા મળી કે ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં જતા રોક્યા. જેતી તેમણે અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યો કે, 'ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?" તેમણે પોલીસને તાકીદ કરી હતી કે, "લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી, ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે, એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે."
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 8 કલાકમાં 129 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના ડોલવણમાં 5 ઈંચ
શું છે મામલો?
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગઈ કાલે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.









