'આવી કેવી લોકશાહી?' રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોર્ટમાં જતા રોકવાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Clash Between AAP Workers and Police: દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોર્ટ પરિસર બહાર પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો.
ગોપાલ ઈટાલિયાએ રોષ ઠાલવ્યો
આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં" તેમણે ઉમેર્યું હતું કે, "અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે." પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.
પોલીસે આપ કાર્યકરોને અટકાવ્યા
ચોંકાવનારી વાત એ જોવા મળી કે ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં જતા રોક્યા. જેતી તેમણે અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યો કે, 'ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?" તેમણે પોલીસને તાકીદ કરી હતી કે, "લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી, ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે, એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે."

પોલીસે કર્યો પોતાનો બચાવ
આ સમગ્ર વિવાદ વચ્ચે પોલીસે આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, "કલેક્ટરનું જાહેરનામું છે કે સરકારી કચેરી કે ક્યાંય પણ કલમ 144 લાગુ છે, જેમાં ચારથી વધુ લોકો ભેગા ન થઈ શકે." પોલીસે વધુમાં ઉમેર્યું કે, "મોહરમ અને ચૈતર વસાવાની અટકાયત બાદ કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે અને એસઆરપીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે."
આ પણ વાંચોઃ બનાસકાંઠા-આણંદમાં વીજ કરંટથી 5નાં મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
આ ઘટનાને પગલે રાજપીપળામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસો સામે લોકશાહી અધિકારોના હનનનો પ્રશ્ન ઉભો થયો છે.
શું છે મામલો?
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગઈ કાલે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.









