Rajkot News: રાજકોટ ચંપક નગરમાં 120 થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટના સામે આવી છે. અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં ચોરીને અંજામ અપાયો છે. રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યાં 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કરી લીધો છે.
રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ચોરી
પ્રાથમિક વિગતો મુજબ તસ્કરો રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલર લઈને આવ્યા હતા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. ઘરમાં ઘૂસીને 120 થી 125 કિલોગ્રામ, કિંમતે 1 કરોડથી વધુની ચાંદી ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી, તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ તપાસ શરૂ કરી
પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા તેઑ ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલી છે ત્યાં 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. હાલ આસપાસના વિસ્તારોના CCTV કેમેરાની ફૂટેજની ચકાસણી થઈ રહી છે.

પોલીસ પેટ્રોલિંગ પર સવાલ
મોટી ચોરીના પડઘા પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાને પણ પડ્યા હતા. આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ચોરોએ આટલી મોટી ચોરીને અંજામ આપી ભાગી જતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. આખા વિસ્તારમાં ડર અને રોષનો માહોલ છે.



