અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા PM મોદીના રોડ શો માટે તૈયાર કરાયેલા મંડપ-બેનરો અને સ્ટેજ ધ્વસ્ત
Rain in Ahmedabad: આજે (25 મે) સાંજથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. શહેરના થલતેજ, ઈસ્કોન, બોડકદેવ, ગુરૂકુલ, ચાંદખેડા, સાયન્સસિટી, ગોતા, બાપુનગર, ઠક્કરબાપા નગર, નારોલ, નિકોલ, ઘાટલોડિયા, વટવા, નરોડા સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવન ફૂંકાતા શહેરમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે રોડ શોને લઈને તૈયાર કરાયેલા મંડપ પણ તૂટી પડ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ શરૂ, ધૂળની ડમરીઓ ઉડી
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ (26 અને 27 મે) ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. જેને લઈને આવતીકાલે (26 મે) અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોના પગલે એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી મંડપ અને સ્ટેજ તૈયાર કરાયા છે. બીજી બાજુ આજે રાત્રે અમદાવાદ શહેરમાં વાવાઝોડું ફૂંકાતા રોડ શોને લઈને તૈયાર કરાયેલા કેટલાક મંડપ અને બેનરો ધ્વસ્ત થયા હતા. ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ સ્ટેજના કાપડ ફાટી ગયા અને મંડપ પણ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ભારે પવન ફૂંકાતા અમદાવાદ એરપોર્ટ રોડ પર લગાવેલો મુખ્ય મંડપ રોડ પર પડી ગયો હતો. જ્યારે એરપોર્ટ રોડ પર લગાવવામાં આવેલા બેનર પણ ઉડ્યા હતા. બીજી તરફ મંડપ અને બેનરો ઉડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દોડતા થયા છે. મનપાના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક ધરાશાયી થયેલા મંડપને ત્યાંથી હટાવવાની કામગીરી કરી હતી. જણાવી દઈએ કે, મંડપ તૂટી પડતા રોડ પર અવરજવર ઠપ થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 2 દિવસ 6થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ, આજે 37 તાલુકામાં વરસાદ નોંધાયો
આ સિવાય ગાંધીનગરમાં પણ વડાપ્રધાનના રોડ શો માટે બાંધવામાં આવેલા મંડપ ફાટી ગયા હતા. ઘણી જગ્યાએ મંડપના ચિથરેહાલ જોવા મળ્યા હતા. તો સ્વાગત માટે ઠેર ઠેર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પણ ભારે ભવનને કારણે ધરાશાયી થઈ ગયા હતા. જો કે, 15 થી 20 મિનીટ સુધી ધુળની ડમરીઓએ ગાંધીનગરને બાનમાં લીધા બાદ વીજળીના ચમકારા સાથે વરસાદી છાંટા પણ પડયા હતા. જેના પગલે ધુળની ડમરીઓ ઉડતી બંધ થઇ ગઇ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ખાસ કરીને બપોર સુધી ઉકળાટને કારણે લોકોને થોડી રાહત મળી હતી, પરંતુ આંધીના કારણે થોડા સમય માટે તો શહેરી જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તંત્ર દ્વારા નુકસાનના આંકડા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.