Gujarat

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં વર્ષમાં 3.93 લાખ પ્રવાસીઓ આવ્યા

By GS Team
4 Apr 20192 mins read
This article was originally published on 4 Apr 2019
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં વર્ષમાં 3.93 લાખ પ્રવાસીઓ આવ્યા

પાટણ, પાલનપુર, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

પાટણ શહેરમાં આવેલી જગવિખ્યાત ઐતિહાસિક રાણીની વાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા બાદ સરકાર દ્વારા રૃા. ૧૦૦ની નવી ચલણી નોટમાં સ્થાન મળ્યા બાદ વાવને નિહાળવા માટે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે ૨૯૯૦૨ પ્રવાીઓ વધ્યા છે. જેના કરાણે પુરાતત્વ વિભાગનેે રૃપિયા ૭૭.૭૬ લાખની આવક વધુ થઈ છે.

અણહીલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મુળરાજ સોલંકીના પુત્ર ભીમ દેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીમાં પોતાની પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે વાવનું નિર્માણ કરાવ્યું હતું. સાત માળ ઉંડી વાવ માત્ર વાવ નથી પરંતુ સ્થાપત્ય કલાનો તેમાં અખુટ ભંડાર ભરેલો છે. જેને જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની જાય છે અને તેને કેનેરામાં કેદ કર્યા વિના રહી શકતા નથી.

રાણીની વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા બાદ રાણીની વાવની ટિકિટનો દર જે રૃા. ૫ હતો જે આજે વધીને ભારતીય પ્રવાસીઓ માટે રૃા. ૪૦ કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશી પ્રવાસીઓની ટિકિટનો દર રૃા. ૧૦૦થી વધીને રૃા. ૬૦૦ કરવામાં આવ્યો છે. તે છતાંય પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ સતત વધારો જ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા રૃા. ૧૦૦ની નવીન ચલણી નોટમાં રાણકી વાવને સ્થાન મળ્યા બાદ પાટણ જિલ્લાની સાથે સમગ્ર દેશમાં લોકો રાણીની વાવ પ્રત્યે ગૌરવ વધ્યું છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૧મી માર્ચ સુધીમાં કુલ ૩,૬૭,૪૮૧ પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. જેને લઈ પુરાતત્વ વિભાગને કુલ રૃા. ૬૨,૨૬,૧૩૦ ની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૧મી માર્ચ સુધીમાં કુલ ૩,૯૭,૩૮૩ પ્રવાસઓએ મુલાકાત લીધી હતી અને રૃા. ૧,૪૦,૦૩,૦૨૫ની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮ કરતા વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૫૪ વિદેશી અને ભારતીય પ્રવાસીઓ મળી કુલ ૨૯૯૦૨ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. જેને લઈ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પુરાતત્વ વિભાગની ટિકિટની આવકમાં રૃા. ૭૭૭૬૬૮૯૫ નો વધારો નોંધાયો હતો. ચાલુ વર્ષે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગત વર્ષ કરતા રૃા. ૬૧૮૩૪૯૫ની આવક વધી છે અને વદેશી પ્રવાસીઓની મુલાકાતથી રૃા. ૩૧૩૯૦૦૦ આવક વધી છે.