Gujarat

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા

By GS TEAM
10 Apr 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરા જોધપુર ટેકરા નજીક પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજી વાર મોટું ભંગાણ સર્જાતા શહેરા નગર સહિત આસપાસના ૧૯ ગામોમાં પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા

Panchmahal Water Woes: પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરા જોધપુર ટેકરા નજીક પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજી વાર મોટું ભંગાણ સર્જાતા શહેરા નગર સહિત આસપાસના 19 ગામોમાં પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે.

તંત્રની કામગીરી પર સવાલ

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (નવમી એપ્રિલ) આ પાઈપ લાઈનમાં લીકેજ થતા તંત્ર દ્વારા રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મરામત પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ આજે ફરી તે જ સ્થળે મોટું ભંગાણ પડ્યું હતું. પાઈપ લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ઉનાળાની સિઝનમાં લોકોના ઘર સુધી પહોંચતું પાણી બંધ થઈ ગયું છે.

19 ગામો અને શહેરા નગરમાં જળ સંકટ

આ પાઈપ લાઈનમાં ભંગાણને કારણે, શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાણીનો સપ્લાય ખોરવાયો છે. લાભી ગામના સબ હેડવર્ક હેઠળ આવતા 19 ગામોના હજારો લોકો પાણી વગર મુશ્કેલીમાં મુકાયા છે. ગૃહિણીઓને પીવાના પાણી અને ઘરકામ માટે પાણી મેળવવા દૂર-દૂર સુધી ભટકવાની નોબત આવી છે.

નગરપાલિકાના સૂત્રોના જણાવ્યાનુસાર, પાનમ ડેમ વિસ્તારમાં અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ભારે મશીનરીના કારણે જમીનમાં દબાયેલી પાઈપ લાઈન પર દબાણ આવતા વારંવાર લિકેજના બનાવો બની રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ યાદી

એક તરફ તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ 24 કલાકમાં બે વાર લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને નગરજનોની માંગ છે કે જવાબદાર વિભાગ દ્વારા માત્ર થીગડા મારવાને બદલે પાઈપ લાઈનનું કાયમી અને યોગ્ય મરામત કરવામાં આવે, જેથી વારંવાર સર્જાતી આ સમસ્યાનો અંત આવે અને પાણી પુરવઠો વહેલી તકે પૂર્વવત થાય.

રોડ એજન્સીની આડેધડ કામગીરીથી પાઈપમાં ભંગાણ

શહેરાના જોધપુર ટેકરા નજીક ગઈકાલે થયેલ લીકેજનું રિપેરીંગ કરવા પહોંચેલી એજન્સીને જાણવા મળ્યું હતું કે, રોડ બનાવતી એજન્સીની બેદરકારીને કારણે આજે ફરીથી વધુ બે મુખ્ય પાઈપ લાઈનો તૂટી ગઈ છે. રોડ એજન્સીને વારંવાર સૂચના આપવા છતાં આડેધડ કામગીરી ચાલુ રાખતા આ ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ પાણી પુરવઠા યોજનાના સંચાલકોએ કર્યો છે.