પંચમહાલમાં મકાન ધરાશાયી થતાં જીવ ગુમાવનારી મહિલાના પરિવારને રૂ.4 લાખનું વળતર, વરસાદ બાદ થઈ હતી દુર્ઘટના
Panchmahal News: રાજ્યભરમાં છેલ્લા અનેક સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. આ સિવાય જાનહાનિ અને માલહાનિની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં પંચમહાલમાંથી પણ એક આવા જ સમાચાર સામે આવ્યા હતા. જ્યાં 31 ઓગસ્ટે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જોકે, હવે આ મામલે મૃતક મહિલાના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ
પંચમહાલમાંં 31 ઓગસ્ટે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જોકે, આ ઘટનાને લઈને હવે તેમના પરિવારને માનવ મૃત્યુ સહાય પેટે 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે તેમને ચેક એનાયત કરવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, 31 ઓગસ્ટે પંચમહાલના ખોજવાસવા ગામમાં ભારે વરસાદના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. કૈલાશબહેન બારીયા નામની મહિલાનું મકાન રાત્રે ધરાશાયી થયું હતું. મહિલા મકાનમાં સૂતી હતી ત્યારે એકાએક મકાન પડી જતા મહિલા મકાનના કાટમાળમાં દટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક દ્વારા મહિલાને બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો પરંતુ, ત્યાં સુધી તેનું મોત થઈ ચુક્યુ હતું.
પરિવારમાં શોકનો માહોલ
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ગામના સરપંચ, તલાટી સહિતના લોકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.