પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કડાણા ડેમના વિસ્થાપિતોને ફાળવવામાં આવેલી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેમલી ગામમાં દબાણો હટાવ્યા બાદ હવે તંત્રનું બુલડોઝર બામરોલી (બુઝર્ગ) ગામ તરફ વળ્યું છે, જ્યાં 50 જેટલા દબાણકારોને 7 દિવસમાં મકાનો અને કબજો ખાલી કરવા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.
55 વર્ષ જૂનો જમીન વિવાદ અને સુપ્રીમ કોર્ટનો આદેશ
આ વિવાદના મૂળિયાં પાંચ દાયકા જૂના છે. કડાણા ડેમ બનતી વખતે જે ખેડૂતોની જમીન ડૂબાણમાં ગઈ હતી, તેઓને અંદાજે 55 વર્ષ પહેલા શહેરાના ડેમલી અને બામરોલી ગામે જમીન ફાળવવામાં આવી હતી. જો કે, આ જમીનો પર અન્ય શખસોએ વર્ષોથી કાચા-પાકા મકાનો અને ખેતી કરી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા, કોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો હતો અને વિસ્થાપિતોને તાત્કાલિક જમીનનો કબજો સોંપવા આદેશ કર્યો હતો.
ડેમલીમાં 30 જેટલા દબાણો દૂર
વહીવટી તંત્ર દ્વારા પાંચમી માર્ચથી 13મી માર્ચ દરમિયાન 27 વિસ્થાપિતોને જમીન સોંપવાનું આયોજન કરાયું હતું. તંત્ર દ્વારા અગાઉ ડેમલી ગામમાં આશરે 30 જેટલા કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બામરોલી (બુઝર્ગ) ગામમાં કડાણા ડેમના અસરગ્રસ્તોની જમીન પર કબજો જમાવી બેઠેલા 50 લોકોને નોટિસ આપીને સાત દિવસની મહેતલ અપાઈ છે. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.
પરિવારોમાં ચિંતા અને કરુણ દ્રશ્યો
તંત્રની નોટિસ બાદ બામરોલી ગામમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો હવે પોતાની ઘરવખરી અને કિંમતી સામાન ઘરની બહાર કાઢી રહ્યા છે. સ્થાનિક શામળભાઈ ચારણે જમાવ્યું કે, 'અમે 65-70 વર્ષથી, અમારી ચોથી પેઢીથી અહીં રહીએ છીએ. જો આ આશરો છીનવાઈ જશે તો અમારો 20 સભ્યોનો સંયુક્ત પરિવાર ક્યાં જશે? અમારી પાસે અન્ય કોઈ રહેઠાણ નથી. સરકાર આ બાબતે માનવીય અભિગમ અપનાવે તે જરૂરી છે.'
આગામી દિવસોમાં મોટા ઓપરેશનની શક્યતા
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિસ્થાપિતોને તેમની હક્કની જમીન પરત અપાવવી અનિવાર્ય છે. આગામી દિવસોમાં પાકા મકાનો તોડી પાડવા માટે તંત્ર દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી રહેતા પરિવારોમાં ભારે ફાળ પડી છે.








