Gujarat

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા હાર્દિકના 'પાસ' દ્વારા રવિવારે આંદોલન

By GS Team
11 Jun 20222 mins read
This article was originally published on 11 Jun 2022
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા હાર્દિકના 'પાસ' દ્વારા રવિવારે આંદોલન

- 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)એ પાટીદારોને આરક્ષણ અપાવવા માટે મોટું આંદોલન કર્યું હતું

સુરત, તા. 11 જૂન 2022, શનિવાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંબંધિત મામલો રાજકીય રંગ લઈ રહ્યો છે. આ સ્ટેડિયમનું નામ બદલવાની માંગને લઈને પાટીદાર સમુદાય એક મોટું આંદોલન કરવા જઈ રહ્યો છે. પાટીદાર સમુદાય ફરી એક વખત આ સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવાની માંગ કરી રહ્યો છે. 

મહત્વની વાત એ છે કે, આ માંગને એ ગ્રુપનું પણ સમર્થન મળી રહ્યું છે જેણે 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર આરક્ષણની માંગ કરી હતી અને સમગ્ર ગુજરાતમાં વ્યાપક આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલ આ જ મહીને કોંગ્રેસનો છેડો ફાડી બીજેપીમાં સામેલ થઈ ચૂક્યા છે. 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)એ પાટીદારોને આરક્ષણ અપાવવા માટે મોટું આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલ આ આંદોલનના આગેવાન હતા. 

સ્ટેડિયમનું નામ બદલવાની માંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવા માટે ફરી એક વખત બધા પાટીદીર નેતા અને સંગઠન એકજૂથ થઈ ગયા છે. આ માંગને પૂરી કરવા માટે એક સંગઠન બનાવવામાં આવ્યું છે જેનું નામ સરદાર સમ્માન સંકલ્પ આંદોલન સમિતિ રાખવામાં આવ્યું છે. આ માંગને પૂરી કરવા માટે કરવામાં આવી રહેલા પ્રદર્શનને સરદાર સમ્માન સંકલ્પ યાત્રા નામ આપવામાં આવ્યું છે. 

રવિવારે સુરતથી બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી અમદાવાદ માટે આ યાત્રાની શરૂઆત થશે. સોમવારે સાંજે પ્રદર્શનકારીઓનું આ સમૂહ અમદાવાદ પહોંચશે અને ગેટ નંબર-1 પર પ્રદર્શન કરશે. ગુજરાતમાં ચૂંટણી સિઝનમાં પાટીદારોની આ યાત્રા સરકાર અને તંત્ર માટે મૂશ્કેલી ઊભી કરી શકે છે. આ યાત્રાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. 

મહત્વની વાત એ છે કે, આ વિરોધ સંપૂર્ણપણે બિનરાજકીય હશે. વિરોધ પ્રદર્શનમાં કોઈ પણ રાજકીય બેનર અથવા પાર્ટીના નેતાઓને અનુમતિ આપવામાં આવશે નહીં. સમગ્ર ગુજરાતમાંથી પાટીદારોને સામેલ થવા માટે જણાવ્યું છે. 

આ અભિયાન માટે આંદોલન કરી રહેલા પાટીદાર નેતા અતુલ પટેલે જણાવ્યું હતું કે, જો આ સરકાર નામ નહીં બદલશે તો અમે અમારો વિરોધ તેજ કરીશું. આ સરકારની તાનાશાહી છે. ચૂંટણી દરમિયાન તેમણે સરદાર પટેલની વિશાળ પ્રતિમા બનાવી અને ચૂંટણી બાદ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું. અમે તેની અનુમતિ નહીં આપીએ. સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના નામનો દુરુપયોગ કરી રહી છે. હવે સરદાર પટેલની પ્રતિષ્ઠા પાછી અપાવવાનો સમય આવી ગયો છે, તેથી જ અમારું સૂત્ર છે કે, સરદારનું ઋણ ચૂકવો, સન્માન પાછું અપાવો.

તેમણે કહ્યું કે, બારડોલીથી શરૂ થઈને આ વિરોધ પ્રદર્શન યાત્રા ગુજરાતના ઘણા વિસ્તારોમાં જશે અને સોમવારે અમદાવાદ પહોંચશે. અમારી માંગ છે કે, સ્ટેડિયમનું નામ બદલવામાં આવે અન્યથા અમારું વિરોધ પ્રદર્શન ચાલું રહેશે.