વાઈબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારીનું બિહામણું ચિત્ર, તલાટીની 2389 જગ્યાઓ માટે 4 લાખથી વધુ અરજી
Gujarat Unemployment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે આખરી દિન હોવાથી મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ચાર લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી. આ પરથી વાઈબ્રન્ટ-વિકસિત ગુજરાતમાં બેરોજગારીની હકીકત ખુલ્લી પડી હતી.
તલાટીની ભરતી
ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરુપે સરકારે રહી રહીને તલાટીની ભરતી શરૂ કરી છે. છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26 મેથી ફોર્મ ભરવાનું શરૂ થયુ છે. 10 જૂનની મોડી રાત્રે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતાં ઉમેદવારોએ રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભર્યા હતાં.
મળતી માહિતી મુજબ, મંગળવારે (10 જૂન) બપોર સુધીમાં તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી પણ ફરી દીધી છે. તલાટી માટે કુલ ફોર્મ કેટલાં ભરાયાં તે બુધવારે મોડી સાંજ સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાયાં છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને છે.
ખાનગી-કરાર આધારિત નોકરીઓમાં શોષણને લીધે સરકારી નોકરી બન્યું સપનું
આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને એમબીએ-ડિગ્રિ ધારક યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવતા હતા. જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને બે-ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પંચાયતોનો વહીવટ બગડતાં આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યુ છે. તલાટી માટે સાડા ચાર લાખથી વધુ અરજીઓ આવતાં ગુજરાતમાં રોજગારીની કેવી સ્થિતી છે તેની વાસ્તવિકતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં યુવાઓને રોજગાર મળી રહે છે તેવા સરકારના દાવાનો પરપોટો ફૂટયો છે.
આ પણ વાંચોઃ પાડાના વાંકે પખાલીને ડામ: KYCના ધાંધિયા, દર મહિને 10 લાખથી વધુ ગરીબો અનાજથી વંચિત
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થતાં તલાટી બનવું પણ અઘરુ બન્યું
જાણકારોનું કહેવું છે કે, તલાટીની પરીક્ષા હવે જીપીએસસીની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધો. 12 હતી. હવે ગ્રેજયુએટ યુવા જ તલાટીનુ ફોર્મ ભરી શકે છે. ગત વખતે એક પરીક્ષા હતી જ્યારે આ વખતે પ્રિલિમનરી સાથે કુલ ચારેક પરીક્ષા આપવી ફરજિયાત છે. આ બધાય પરીક્ષા નિયમોને લીધે કેટલાંય શિક્ષિતોએ તલાટીની પરીક્ષા આપવાનું ટાળ્યું છે. ગત વખતે તો તલાટી માટે 6 લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં.