પાડાના વાંકે પખાલીને ડામ: KYCના ધાંધિયા, દર મહિને 10 લાખથી વધુ ગરીબો અનાજથી વંચિત
Ahmedabad News: અન્ન સુરક્ષા અધિકાર હેઠળ ગરીબ લોકોને અનાજ પુરૂ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે Know Your Customer (KYC) ફરજિયાત બનાવી ફતવો બહાર પાડ્યો છે. આ કારણોસર એવા ધાંધિયા શરૂ થયાં છે કે, રાજ્યમાં દર મહિને દસ લાખથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદો અનાજથી વંચિત રહ્યાં છે. પુરવઠા વિભાગના જડ વલણને કારણે ગરીબો મફત અનાજ માટે વલખાં મારી રહ્યાં છે, ત્યારે પરિણામે પાડાના વાંકે, પખાલીને ડામ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.
કેવાયસી વિના ગરીબ કાર્ડધારકોને અનાજથી વંચિત
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદા હેઠળ ગરીબ લાભાર્થીઓને રાહત દરે ઘઉં, ચોખા અને બરછટ ધાન આપવામાં આવે છે. ગુજરાતમાં હાલ દર મહિને 78,68,468 કાર્ડધારકો એટલે કુલ મળીને 3,82,26,327 લોકોને અનાજ પુરુ પાડવામાં આવે છે, પરંતુ તે માટે પુરવઠા વિભાગે બાયોમેટ્રિક્સ સાથે કેવાયસી ફરજિયાત કર્યુ છે. અત્યારે સ્થિતી એવી થઈ છે કે, ઘણીં વાર અંગૂઠાના નિશાન આવતાં નથી, આધારકાર્ડમાં પણ ભૂલો હોય છે, કોઈને કોઈ કારણોસર લાભાર્થીઓને કેવાયસી માટે સેન્ટરોના ધરમધક્કા ખાવા પડી રહ્યાં છે. હવે કેવાયસી કર્યું હોય તે રેશનકાર્ડની સંખ્યા આધારે જ રાજ્ય પુરવઠા વિભાગ અનાજનો જથ્થો પુરો પાડે છે પરિણામે કેવાયસી વિના ગરીબ કાર્ડધારકોને અનાજથી વંચિત રહેવું પડે છે.
બીજી તરફ, અન્ન સુરક્ષા અધિકાર અભિયાન- ગુજરાત દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, ખુદ સરકારના પોર્ટલ પર આંકડા સાથેની વિગતો જ દર્શાવે છે કે, દર મહિને અંદાજે 16 લાખથી વધુ કાર્ડધારકોને અનાજ મળતુ નથી. ગરીબ કાર્ડધારકોને તેમના હકનું અનાજ મળતું નથી. ચોમાસાના કારણે બે મહિનાનો એક સાથે અનાજના જથ્થાની ફાળવણી કરી છે, ત્યારે હજારો હકદાર કાર્ડધારકો અનાજથી વંચિત રહ્યાં છે. એવી માંગ કરવામાં આવી છે કે, કેવાયસીને કારણે ગરીબોનું અનાજ બંધ થવું જોઈએ નહી.
પુરવઠા વિભાગના આંકડા પરથી એવી માહિતી બહાર આવી છે કે, માર્ચ, એપ્રિલ, મે અને જૂન કુલ મળીને ચારેક મહિનામાં જ 75 લાખથી વધુ જરુરિયાતમંદોને અનાજ મળી શક્યુ નથી. કોઇપણ ગરીબ ભૂખ્યો સુઇ રહેશે નહીં તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે ગરીબો પ્રત્યેની સરકારની સહાનુભૂતિ એ માત્રને માત્ર દેખાડો પુરવાર થઈ છે.