Gujarat

દુકાન ફાળવણીમાં વિલંબ બદલ મ્યુનિ.ને વ્યાજ સાથે રૃા.5.61 લાખ અને રૃા.5 લાખ વળતરનો હુકમ

By GS Team
28 Dec 20242 mins read
This article was originally published on 28 Dec 2024
દુકાન ફાળવણીમાં વિલંબ બદલ મ્યુનિ.ને વ્યાજ સાથે રૃા.5.61 લાખ અને રૃા.5 લાખ વળતરનો હુકમ

સુરત

ફરિયાદીએ રૃા.5.61 લાખ ચૂકવ્યા બાદ નિયત સમયમાં કબજો નહી આપ્યો અને દસ મહિના સુધી રિફંડ કે વળતર ન અપાયું નહોતું

લેટ પેમેન્ટ પર સુરત મ્યુ.કોર્પોરેશન 18 ટકા વ્યાજ લે છે તો વાદીને પણ તે જ દરે નાણાં મેળવવાનો હક છે,ખાનગી અને સરકારી એજન્સીને એક સરખી રીતે જોવી જોઈએઃ કોર્ટ

      

આઠેક વર્ષ પહેલાં કોસાડ આવાસના શોપીંગ સેન્ટરમાં દુકાન ફાળવણી માટે 5.61 લાખ ચુકવવા છતાં 10 મહીના સુધી દુકાનનો કબજો સોંપવા કે નાણાંનું રીફંડ આપવામાં વિલંબ કરવા બદલ સુરત મ્યુ.કમિશ્નર વિરુધ્ધ વાદીએ કરેલા સીવીલ સ્યુટને માન્ય રાખી સેકન્ડ એડીશ્નલ સીવીલ જજ વિનીતા કે.ચારણે વાદીને વાર્ષિક 18 ટકા વ્યાજ સહિત  5.61 લાખ તથા દુકાનનો કબજો સોંપવામાં થયેલા વિલંબને કારણે થયેલા નુકસાનના વળતર પેટે રૃ.5લાખ ચુકવવા સુરત મ્યુ.કોર્પોરેશનને હુકમ કર્યો છે.

પીપલોદ ગૌરવપથ પર હીમગીરી બંગ્લોઝમાં રહેતા વાદી બિમલ રમણલાલ શાહે સુરત મ્યુ.કોર્પોરેશનમાં ઓકટોબર-2015માં કોસાડ ઈડબલ્યુએસ આવાસના શોપીંગ સેન્ટરમાં દુકાન નં.21ની ફાળવણી કરવા બદલ નિયત સમયમાં રૃ.5.61 લાખ જમા કરાવ્યા હતા.વધુમાં દુકાનની બહાર ગ્રીલ ન લગાવી હોવાના કારણે અસામાજિક તત્વોએ તેના પર જમાવી લીધેલા કબજાને દુર કરવામાં પણ સુરત મહાનગર પાલિકા નિષ્ફળ રહી હોઈ વાદીને દુકાનનો કબજો તથા  ચુકવેલા નાણાંનું રીફંડ આપવામાં દશ મહીના જેટલો વિલંબ કર્યો હતો.જેના કારણે વાદીએ દુકાન શરૃ કરીને અપેક્ષિત ૧૫ હજાર કમાવવાની ગણતરીને લક્ષમાં લેતા 15 લાખની આવકનું નુકશાન થવા પામ્યું હતુ. જેથી વાદીએ કમલનયન અસારાવાલા દ્વારા સુરત મ્યુ.કમિશ્નરને પ્રતિવાદી બનાવીને ચુકવેલા અવેજના નાણાં 18 ટકા વ્યાજ સહિત 5.61 લાખ તથા વિલંબના કારણે થયેલા આર્થિક નુકસાનીનું વળતર વસુલ અપાવવા સીવીલ દાવો કર્યો હતો.

જેની સુનાવણી દરમિયાન સુરત મહાનગર પાલિકા તરફે એવો બચાવ કરવામાં આવ્યો હતો કે વાદીએ માત્ર 1.86 લાખ સુરત મહાનગર પાલિકામાં જમા કરાવ્યા સિવાય બાકીના  નાણાં નિયત સમયમાં ચુકવવામાં નિષ્ફળ રહ્યા હતા.શોપની ફાળવણી માટે પ્રથમ હપ્તા પેટે 40 ટકા રકમ સ્વચ્છ ભારત મિશન માટે ચુકવ્યા બાદ બાકીના નાણા લેટ પેમેન્ટ પર પેનલ્ટી,વ્યાજ  ચાર્જ લગાવવામાં આવ્યો છે.જેથી સુરત મ્યુ,કોર્પોરેશને દુકાનની ફાળવણી રદ કરીને ચુકવેલા નાણાંનું રીફંડ આપવાની તૈયારી દર્શાવી હતી.જેને વાદીએ માન્ય રાખી હતી.તદુપરાંત વાદીએ બીપીએમસી એકટની સેકશન-487 મુજબ મ્યુ.કોર્પોરેશનની સામે અદાલતી કાર્યવાહી પહેલાં આપવાની થતી નોટીસ પાઠવી નથી.

અલબત્ત કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા વાદી તરફેની રજુઆતોને માન્ય રાખીને પ્રતિવાદી સુરત મ્યુ.કમિશ્નરને વાર્ષિક 18 ટકાના વ્યાજ સહિત રૃ.5.61 લાખ તથા દુકાનનો વિલંબિત કબજો સોંપવાથી થયેલા આર્થિક નુકશાન પેટે રૃ.5 લાખ ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું છે કે સુરત મ્યુ.કોર્પોરેશન સામાન્ય રીતે લેટ પેમેન્ટ પર 18 ટકાના વ્યાજ સહિત ચાર્જ કરે છે તે રીતે વાદીએ પણ સુરત મ્યુ.કોર્પોરેશન પાસેથી 18 ટકાના દરે જ નાણાં મેળવવા હક્કદાર છે.ખાનગી કે સરકારી એજન્સી બંને એક સમાન રીતે જોવી જોઈએ.