મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ લેશે ભુપેન્દ્ર પટેલ, મંત્રીમંડળ અંગે સસ્પેન્સ યથાવત
Updated: Sep 12th, 2021
અમદાવાદ,તા.12.સપ્ટેમ્બર,2021
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિમાયેલા ભુપેન્દ્ર પટેલ આવતીકાલે, સોમવારે શપથ ગ્રહણ કરશે.જોકે નવા મંત્રીમંડળ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મળતી વિગતો પ્રમાણે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે કહ્યુ હતુ કે, આવતીકાલે ,સોમવારે માત્ર ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને મંત્રીમંડળ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એવુ પણ જાણવા મળ્યુ છે કે, નાયબ મુખ્યમત્રી નીતિન પટેલ અને બીજા મંત્રીઓની જવાબદારી અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.
આ પહેલા આજે સાંજે ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા જશે અને સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરવાની ઔપચારિકતા પૂરી કરશે.
દરમિયાન ભુપેન્દ્ર પટેલે સીએમ તરીકને પહેલા સંબોધનમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સહિતના નેતાઓનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, મારા ખભા પર જે જવાબદારી મુકવામાં આવી છે તેને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ.