File Photo |
Ganesh Visarjan: ગુજરાતના નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં તણાઈ જતા યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી યુવકની કોઈ ભાળ થઈ નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં સયાજીપુરા રાત્રી બજારની 18 દુકાનો જાહેર હરાજી કરીને ત્રણ વર્ષ માટે ફાળવાશે
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના રાજપીપળાની કરજણ નદી કિનારેથી 25 વર્ષીય યુવકની નદીમાં તણાઈ જવાની માહિતી સામે આવી છે. મોતીબાગમાં રહેતો 25 વર્ષીય અર્જૂન મિત્રો સાથે નદીમાં ગણેશ વિસર્જન માટે આવ્યો હતો. જોકે, તેમણે વિસર્જન માટે બનાવેલા કૂંડમાં કે નદીના કાંઠેથી ગણેશ વિસર્જન ન કર્યું અને પૂલની વચ્ચે જઈને પાણીમાં ઉતરીને વિસર્જન કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન પાણીના ભારે વહેણમાં યુવક તણાઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર તેના અન્ય મિત્રો અને સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને આ વિશે જાણ કરી હતી.
યુવકની શોધખોળમાં જોડાઈ SDRFની ટીમ
સમગ્ર મામલે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમ હાલ યુવકની શોધખોળમાં લાગી છે. પરંતુ હજુ સુધી યુવકની કોઈ માહિતી મળી નથી.
નોંધનીય છે કે, ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ હોય છે. એવામાં ગણપતિ બાપ્પાને પોતાનાથી દૂર કરતી વખતે ભક્તો શ્રદ્ધા અને લાગણીના કારણે ભાવુક થઈ જાય છે અને બાપ્પાને નદીમાં જ પધરાવવા ઈચ્છે છે. પરંતુ, ભારે વરસાદના કારણે રાજ્યભરમાં નદીઓનું જળસ્તર વધ્યું છે, જેના કારણે કોઈ જાનહાનિ સર્જાઇ શકે છે. તેથી, બાપ્પાને નદીમાં કે દરિયામાં જ પધરાવવાની બદલે નગર પાલિકાઓ કે તંત્ર દ્વારા જે ખાસ કૂંડની વ્યવસ્થા કરવામાં આવી હોય, તેમાં જ પધરાવવા અંગે ધ્યાન રાખવું જોઈએ. જેનાથી નદીમાં થતું પ્રદૂષણ અટકાવી શકાય અને કોઈ જાનહાનિ ન સર્જાય.


