Get The App

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા 1 - image

- લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ફાગણી પૂનમનો લોકમેળો અને રંગોત્સવ સંપન્ન 

- ભક્ત અને ભગવાનનો અનોખો મિલાપ : પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી 

ડાકોર,નડિયાદ : ફાગણી પૂનમ મહોત્સવના અંતિમ દિવસે ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજાના ક્રમમાં ફેરફાર સાથે ઉત્સવની અનોખી રોનક જોવા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  

ચંદ્રગ્રહણ હોવાથી ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગ રાત્રિના ૨.૦૦ વાગ્યાથી સવારના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. રાત્રે ૨.૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી બાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરાયા હતા. આજ્ઞા માળા ધારણ કરાવી ગોપાલ લાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ખુલ્લા રહ્યા હતા. ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને રંગોના આનંદમાં તરબોળ થયું હતું. ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરી ઠાકોરજીને ફૂલ અને દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. 

ફાગણી પૂનમ મહોત્સવ દરમિયાન રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પરિણામે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘ સાથે ડાકોર પહોંચ્યા હતા. આ પદયાત્રીઓ માટે વિશેષ માર્ગદર્શન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચેના ઉત્તમ સંકલનને કારણે લાખોની મેદની હોવા છતાં કોઈ મોટી ફરિયાદ નોંધાઈ નહોતી. ભક્તોને પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પણ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.