- ખનન માફિયાઓ દ્વારા ખેડા-વડોદરાને જોડતો ગેરકાયદે પુલ ઉભો કરી દેવાયો
- ઠાસરાના જેસાપુરાથી સાવલી સુધી નદીમાં બ્રિજ બનાવી રેતી ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું : મુખ્ય માર્ગો પરના સીસીટીવી કેમેરા અને વજનકાંટાથી બચવા માટે આ ખાનગી રસ્તો બનાવ્યો
નડિયાદ : ખેડા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદીના કિનારે લાંબા સમયથી ચાલી રહેલી ખનીજ ચોરીના દૂષણને ડામવા માટે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ઠાસરા તાલુકાના ચિતલાવ અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગની ટીમે ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ખનન માફિયાઓએ નદીના પટમાં ૨૦૦ ફૂટ જેટલી ઊંડી ભેખડો ખોદી નાખી કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડયું છે. વિભાગની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે માફિયાઓ કોતરો અને નદી માર્ગનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ તંત્રની આ આક્રમક કામગીરીને પગલે ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઠાસરાના જેસાપુરાથી વડોદરાના સાવલી વિસ્તારને જોડતી મહીસાગર નદીમાં માફિયાઓએ કાયદાના લીરેલીરા ઉડાડતા હોય તેમ ગેરકાયદેસર રીતે આખેઆખો કાચો બ્રિજ બનાવી દીધો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ બ્રિજ દ્વારા ખેડા અને વડોદરા જિલ્લાની સરહદોને જોડીને ખનન કરેલી રેતી અને માટીને ટૂંકા રસ્તે હેરફેર કરવામાં આવી રહી છે. અગાઉ અકલાચા ગામે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલો બ્રિજ માફિયાઓએ ફરીથી કાર્યરત કરી દઈને તંત્રને સીધો પડકાર ફેંક્યો છે. મહીસાગર નદીના કુદરતી વહેણને અવરોધીને બનાવાયેલા આ ગેરકાયદે પુલ પરથી રાત-દિવસ સેંકડો ડમ્પર પસાર થઈ રહ્યા છે, જે પર્યાવરણ અને નદીના અસ્તિત્વ માટે ખતરો બની રહ્યા છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં અનેકવાર દરોડા પાડયા હોવા છતાં થોડા સમય બાદ ફરી આ જ પ્રકારે માફિયાઓ સક્રિય થઈ જાય છે, જે તંત્રની રહેમનજર હેઠળ ચાલતો ખેલ હોય તેવું સ્પષ્ટ જણાય છે.
આંતરજિલ્લા ખાનગી રસ્તો ઊભો કરવામાં આવ્યો
માફિયાઓએ જેસાપુરાથી સાવલી સુધી નદીમાં જે પુલ બનાવ્યો છે તે માત્ર સ્થાનિક હેરફેર માટે નથી, પરંતુ ખેડા અને વડોદરા જિલ્લા વચ્ચે રોયલ્ટી ચોરી કરવાનું એક વ્યવસ્થિત કાવતરું છે. મુખ્ય માર્ગોે પર સીસીટીવી અને વજનકાંટાથી બચવા માટે આ આંતરજિલ્લા ખાનગી રસ્તો ઊભો કરવામાં આવ્યો છે. જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતી 200 ફૂટ ઊંડી કોતરો
ચિતલાવ ગામની સીમમાં રેતી કાઢવા માટે જે રીતે ૨૦૦ ફૂટ ઊંડા ખાડા કરવામાં આવ્યા છે, તેનાથી નદીના કિનારાના ખેતરો ધોવાઈ જવાનો ભય ઊભો થયો છે. ખેડૂતોની જમીન નદીમાં ગરકાવ થઈ રહી હોવા છતાં માફિયાઓ સરેઆમ ખોદકામ ચાલુ રાખી રહ્યાં છે.


