અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે
Ahmedabad Fire: અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે એસીમાં આગ લાગ્યા બાદ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું.
ગુરૂકુળ વિસ્તારમાં લાગી આગ
મળતી માહતી અનુસાર, પૂર્વી એપાર્ટમેન્ટમાં 9માં માળે એક મકાનમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ, ફાયરની 15 ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સતત પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં બ્રાન્ડેડ દવા બંધ કરી માત્ર જેનરિક દવા જ મળશે
આગ લાગવાનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતી અનુસાર, એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. જોકે, ધુમાડા દેખાતા ફ્લેટના તમામ સભ્યો સમય સૂચકતા વાપરી તાત્કાલિક નીચે ઉતરી ગયા હતાં, જેના કારણે કોઈ જાનહાનિ થતા ટળી હતી. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.