તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર

Udhna Railway Station Crowd: દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં સુરતનું ઉધના રેલ્વે સ્ટેશન મુસાફરોની ભીડથી ઊભરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયા વર્ગ પોતાના માદરે વતન (ખાસ ઉત્તર પ્રદેશ અને બિહાર) જવા રવાના થઈ રહ્યા છે. જેના કારણે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6 હજારથી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. લગભગ 1 કિ.મી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી.
ઉધના રેલ્વે સ્ટેશનની જે દ્રશ્યો સામે આવ્યા છે, તેમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે, સ્ટેશન પર ટિકિટ લેવા અને ટ્રેનમાં ચઢવા માટે મોડી રાતથી લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. તહેવારોની સિઝનમાં ટ્રેનમાં જગ્યા ન મળતી હોવાના કારણે લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.
રેલ્વે તંત્રની તૈયારી
મુસાફરોની આ બેફામ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલ્વે પોલીસ દ્વારા ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે CCTV કેમેરા ઉપરાંત અત્યાધુનિક ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર પરિસર પર નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનનો ઉપયોગ કરીને ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તહેવારોની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી ઉધના સ્ટેશન પર આ પ્રકારનો ધસારો અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેવી શક્યતા છે. મુસાફરોને નિયમોનું પાલન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર
રેલ્વેએ વધારાની ટ્રેનની વ્યવસ્થા કરી
મુસાફરોની માગને પહોંચી વળવા માટે રેલ્વે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વખતે છઠની સાથે-સાથે ટૂંક સમયમાં બિહારમા વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન છે. તેથી લોકો મોટી સંખ્યામાં વોટ આપવા માટે પણ બિહાર જઈ રહ્યા છે. જેના કારણે ગત વર્ષો કરતા આ સિઝનમાં મુસાફરોની ભીડ વધી છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલ્વે દ્વારા વધારાની ટ્રેન ટીપ્સની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, મુસાફરોની સંખ્યા એટલી વધુ છે કે, વધારાની ટ્રેન પણ ઓછી પડી રહી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને શાંતિ જાળવવા અને સુરક્ષા દળોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ ભીડ આગામી થોડા દિવસ હજુ જોવા મળે તેવી સંભાવના છે.