રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર
Gujarat Dangerous Building: 'આ બિલ્ડિંગ ભયજનક છે.' આવું પાટિયું બીજે ક્યાંય નહીં પરંતુ, અમદાવાદના પોલિટેક્નિક કમ્પાઉન્ડમાં આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યું છે. અહીં બાળ વિકાસ વિભાગની કચેરીમાં દરરોજ અનેક વિધવા મહિલાઓ અને બાળકો સરકારી સહાય માટે આવે છે. આ ભયજનક કચેરીમાં જવું સામાન્ય પ્રજાજનો માટે મજબૂરી છે પરંતુ, આ ગુજરાત સરકાર અને જવાબદાર સરકારી વિભાગોની બેદરકારી છે.
30થી વધુ ઓફિસ અસાલમ બિલ્ડિંગમાં
ગંભીરા બ્રિજ દૂર્ઘટના પછી અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડ જ નહીં રાજ્યભરમાં સરકારની 30થી વધુ વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહેર કરાયેલી બિલ્ડિંગમાં ધમધમી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડિંગ બે વર્ષ પહેલાંથી ભયજનક જાહેર કરાયેલી હોવા છતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
30થી વધુ વિભાગની કચેરીઓ જર્જરિત અવસ્થા
એક બિનસત્તાવાર આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 458 રહેણાંક અને બિનરહેણાંક સરકારી બિલ્ડિંગો જોખમી સ્થિતિમાં છે. ગુજરાત સરકારના 30 વિભાગોની રાજ્યભરમાં આવેલી કચેરીઓમાંથી અનેક કચેરીઓ એવી છે કે જે જર્જરિત અવસ્થામાં છે. સરકારી રાહે આ ઓફિસોની બિલ્ડિંગોના પુનઃનિર્માણની દરખાસ્તો ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ દરખાસ્તો જે તે વિભાગના ઓફિસોમાં ઘૂળ ખાય છે. પણ જોખમી બિલ્ડિંગો ભયજનક છે તે માટેના પત્રો લખીને કે પછી બિલ્ડિંગ ભયજનક હોવાના બોર્ડ લગાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનું પાપ ગાંધીનગરના સરકારી વિભાગોના વડાઓ કરી રહ્યાં છે.
ચોમાસા બાદ વકરી સ્થિતિ
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને મહેસાણા જિલ્લામાં જ 239 સરકારી ઓફિસો એટલે કે બિનરહેણાંક સ્ટ્રક્ચર અને 219 રહેણાંક બિલ્ડિંગો જોખમી સ્થિતિમાં છે. પાંચ જ જિલ્લામાં આવી કુલ 458 બિલ્ડિંગોના નવા બાંધકામો જરૂરી હોવાના દાવાઓ જે-તે સરકારી વિભાગ તરફથી કરી દેવાયાં છે. પણ, આવા પત્રો ગાંધીનગરમાં ગુજરાત સરકારની તુમારશાહીમાં સ્વયં સુરક્ષાની સલાહ સાથે ફાઇલોમાં દબાયેલાં પડ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં એલિસ બ્રિજના છેડે આવેલી નશાબંધી વિભાગની જર્જરિત અવસ્થામાં છે. સરકાર માટે કમાઉ દિકરા જેવી આ કચેરીનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવતું ન હોવાથી આ ચોમાસે પતરાં લગાવવાની સ્થિતિ આવી પડી છે. કંઈક આવી જ હાલત ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનની છે. ગાંધીનગર જિલ્લા પંચાયત વર્ગ ૩ના કર્મચારી મંડળે રજૂઆત પણ કરી છે કે, અગાઉના ચોમાસાઓ દરમિયાન ઈમારતમાં દરેક માળે છતમાંથી પોપડા પડવાના અને તેના કારણે કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાના બનાવ બન્યા છે. આ ઉપરાંત દિવાલ ધસી પડવાનો કિસ્સો પણ બન્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી
અમદાવાદના સરકારી પોલીટેકનિક બિલ્ડિંગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, બિજ નિગમ સહિત અડધો ડઝન સરકારી કચેરીઓ કાર્યરત છે. અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. પણ, હજુ અડધો ડઝન સરકારી કચેરીઓ તેના પ્રવેશદ્વાર ઉપર ‘આ બિલ્ડિંગ ભયજનક છે' તેવા ભય દર્શાવતા લખાણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા કે રાજકોટ જ નહીં રાજ્યભરમાં 30 સરકારી વિભાગોની અનેક સરકારી કચેરીઓ જર્જરિત બિલ્ડિંગોમાં કર્મચારીઓ અને અરજદારો ઉપર જોખમ વચ્ચે કાર્યરત છે. બિલ્ડિંગોનું નિયત આયુષ્ય પૂર્ણ થયાની નોંધ વચ્ચે કાર્યરત સરકારી બિલ્ડિંગોમાં પોપડા પડવા સહિતની નાની-મોટી ઘટના બનતી રહે છે. પણ, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને અમુક અંશે અરજદારોને ભયજનક બિલ્ડિંગોમાં અવર-જવર વધુ જોખમી લાગી રહી છે. જોકે, ગુજરાત સરકારનો કુંભકર્ણ કોઈ દુર્ઘટના પહેલાં જાગવા ટેવાયેલો નથી એવી ટકોર થવા લાગી છે.