'મા ભવાનીના સોગંદ..' ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અડગ, શંકરસિંહે કહ્યું- મેં ફોન કર્યો પણ..
Updated: May 4th, 2024
Lok Sabha Elections 2024 | બાવળાના ગામડાઓમાં ફરીને ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય સમાજના ધર્મરથનું હતું. જેમાં મોટી સમાપન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા મા ભવાનીના સોગંદ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી.
સંમેલનમાં હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના પીએમઓમાં મે જાતે ફોન કરી રૂપાલાની ટિકિટ રદ કરવા કહ્યું હતું. પરંતું ભાજપે ટિકિટ રદ ના કરી, એમને એમ હતું કે, આ સમાજ ક્યારેય ભેગો નહીં થાય અને સમાધાન થઈ જશે. તેમની રણનીતિ ઊંધી પડી છે અને સમાજ એક થઈ ગયો છે. આ સમાજ તેનો જવાબ સાત તારીખે અને આવનારા દિવસોમાં આપશે.
આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો અર્જુનસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂપાલાનું નિવેદન ભાજપને નડશે. જામનગરના જામસાહેબે વડાપ્રધાનનું સન્માન કર્યું છે એમાં અમે કોઈ સમાધાન નથી કર્યું. અમે આમાંથી હટી જઈએ તો પણ સમાજ મા-બહેનોની અસ્મિતા માટે ક્યારેય સમાધાન નહીં કરે. આ આપણા નાકનો સવાલ છે અને તેનો પડઘો મતદાનમાં પડશે.