ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન
પ્રત્યેક કલાકનો ૩ લાખ લિટરનો ફોર્સ ધરાવતી પાણીની ૨૦૦ ડાયામીટરની લાઇનમાં ભંગાણ ઃ લાખો લિટર પાણી વેડફાયું
ગાંધીનગર : પાણીની લાઇન તૂટવાનો વધુએક બનાવ સેક્ટર-૫માં ખોડિયાર મંદિર પાસે બન્યો છે. નવા નેટવર્કની ગટરની લાઇન નાંખવાની કામગીરી વખતે પીવાના પાણીની ૨૦૦ ડાયામીટરની લાઇનમાં ભંગાણ પડયુ હતું. ૨૪ કલાક પાણીની યોજના અંતર્ગત લાઇનમાં પ્રતિ કલાકે ૩ લાખ લીટરના ફોર્સના કારણે અહીં પાણીનો ધોધ પડતો હોય તેવા દ્રશ્યો સર્જાવાની સાથે નજીકમાં પાણીનો કુવો ભરાયા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
નગરવાસીઓ માટે જે વાત હવે સાહજીક બનવા તરફ છે, તેવા ગટર
ઉભરાવાના અને ગટર તથા પાણીની લાઇનો તૂટવાના બનાવો એકાંતર દિવસે બનવા લાગ્યાં છે.
પાણી અને ગટરના નવા નેટવર્કની કામગીરીનો મામલો ભેળાઇ ગયા જેવો તાલ સર્જાઇ ચૂક્યો હોવાથી
હવે આગામી દિવસોમાં તેનો અંત આવવાની વાતે પણ લોક માનસમાં શંકા, કુશંકાઓ ઘર કરી
ગઇ છે. પાટનગરમાં ટાઇફોઇડનો કહેર મચ્યા બાદ દિલ્હીથી છુટેલા આદેશના પગલે ૨૪ કલાક
પાણીની યોજનાને બિન સતાવાર રીતે એક્ટિવ કરી દેવામાં આવી છે. પરિણામે લાઇનોમાં
પાણીનો ફોર્સ જાળવી રાખવામાં આવે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં હવે ક્યાંય પણ
પાણીની લાઇન તૂટવાના બનાવ બને ત્યારે પાણીના ફુવારા અને ધોધ પડવાની સ્થિતિ જ
આવવાની છે. તેને રોકવા માટે પણ વ્યાપક મથામણ અનિવાર્ય બની રહેવાની છે. ત્યારે
સેક્ટર ૫માં ખોડિયાર માતાજીના મંદિર પાસે ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન
પાણીની લાઇન તૂટી જવાનો બનાવ બન્યો હતો. ગટરની ચેમ્બર માટે ખોદવામાં આવેલો ખુબ
ઉંડો ખાડો પાણીથી ભરાઇ જવાથી જાણે કુવો છલોછલ ભરેલો હોય તેવા દશ્યો સર્જાયા હતાં.


