ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક, CJIએ શપથ અપાવ્યા
Gujarat Justice Nilay Anjaria Supreme Court: મૂળ ગુજરાતના કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુકરને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા હતા. ગુજરાતના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક સાથે રાજ્ય ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
સુપ્રીમકોર્ટમાં વધુ ત્રણ જજીસની નિયુકિત
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા હજુ ત્રણ દિવસ પહેલા જ આ ત્રણેય જસ્ટિસના નામની ભલામણ કરાઈ હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ આખરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આજે સત્તાવાર મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટ કોલેજिયમે જે પાંચ હાઇકોર્ટના જજોને જુદી જુદી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુકત કરવાની જે ભલામણ કરી હતી, તેમાં ગુજરાતના વતની અને ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ પટણા હાઇકોર્ટના જજ વિપુલ મનુભાઇ પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરાઇ હતી.
ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સુપ્રીમ કોર્ટમાં જજ બન્યાં
સુપ્રીમ કોર્ટને હવે નવા ત્રણ જજ મળતાં સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 34નું થશે. જસ્ટિસ નિલય વી. અંજારિયા મૂળ કચ્છના માંડવીના વતની છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા પણ માંડવી કોર્ટમાં સિનિયર એડવોકેટ હતા.
જસ્ટિસ એન.વી. અંજારિયાનો જન્મ તા. 23 માર્ચ 1965 માં અમદાવાદમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કરી 1988 થી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે 1989 માં કાયદામાં માસ્ટર્સ કર્યું હતું. વર્ષ 2011માં તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ અને 2013માં કાયમી જજ બન્યા હતા. તા.21/11/2011થી ફેબ્રુઆરી 2024 સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા હતા અને તા.25/02/2024ના રોજ તેઓ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા હતા.