Get The App

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ 1 - image


Ahmedabad News : ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ 2 - image

મુખ્ય આક્ષેપો

આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો : મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ટિકિટની ગોઠવણ

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આકાશ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની લોબી મજબૂત કરી દીધી છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જેવું મહત્વનું પદ મળ્યા બાદ હવે તેને આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળે તેવી ગોઠવણ પણ તે કરી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ 3 - image

સરકારની છબી પર સવાલ

એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.