Junagadh Mahashivratri Mela 2026: ગિરનારની ગોદમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ મહા શિવરાત્રી મેળો આ વર્ષે નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર વચ્ચે મળેલી બેઠકમાં મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વર્ષે મેળો માત્ર ભક્તિ જ નહીં, પણ ભવ્ય આયોજનનું પ્રતીક બનશે.
આ વર્ષના મુખ્ય આકર્ષણો અને ફેરફાર
આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મેળામાં શ્રદ્ધાળુઓ માટે અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે આ પ્રમાણે છે.
પ્રથમવાર અલૌકિક નગરયાત્રા: 11 ફેબ્રુઆરીએ સાધુ-સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરાયું છે.
રવેડી રૂટમાં વધારો: શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 1.5 કિ.મી.થી વધારીને 2 કિ.મી. કરાયો, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે.
ભોલેનાથ થીમ પર સુશોભન: ટુરિઝમ વિભાગ દ્વારા આખા રૂટને ભગવાન શિવની થીમ પર શણગારાશે અને સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરાશે.
લાઇવ સ્ટ્રીમિંગ: જે ભક્તો રૂબરૂ નથી આવી શકતા, તેમના માટે શાહી સ્નાનનું લાઇવ પ્રસારણ કરાશે.
સુરક્ષા અને સુવિધાનું ચુસ્ત આયોજન
લાખોની મેદનીને પહોંચી વળવા માટે સરકારે સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો કર્યો છે.
મેળાનું સ્પેશિયલ સોન્ગ લોન્ચ થયું
આ બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાના વિશેષ ગીત(Theme Song)નું પણ લોન્ચિંગ કરાયું હતું. આ ગીત ભક્તોમાં મેળાનો ઉત્સાહ વધારવાનું કામ કરશે.
વાહન ચાલકો અને મુસાફરો માટે સંભવિત વ્યવસ્થા
મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ અને સોમનાથ હાઇવે પર ખાસ પાર્કિંગ ઝોન બનાવાશે. ત્યાંથી ભવનાથ સુધી જવા માટે શટલ બસની સુવિધા ઉપલબ્ધ રહેશે. રેલવે અને એસ.ટી. નિગમ દ્વારા પણ શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડાવવાનું આયોજન કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત અને સમય પત્રક ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાશે.
આ પણ વાંચો: શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ
ભવનાથના આંગણે યોજાતા ભક્તિના આ પર્વમાં દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આવનારા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરે અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.


