Get The App

અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી 1 - image


અમદાવાદ,મંગળવાર

નારોલમાં પિતાના અવસાન બાદ પુત્રએ નેટબેન્કિંગનો ઉપયોગ કરીને રૃા. 20 લાખની એફડીમાં નોમિનીમાં માતાના બદલે પોતાનું નામ ઉમેર્યુ હતું, એટલું જ નહી બેન્ક એકાઉન્ટમાં રૃા. 4.30 લાખ બારોબાર ઉપાડી લીધા અને ચાર સોનાની વિંટી લઇ લીધી હતી. માતાએ પૂછતા ઝઘડો કરીને ધમકી આપીને અલગ રહેવા જતો રહ્યો હતો. જ્યારે બીજા પુત્રે ચેઇન અને કાર પણ માતાની જાણ બહાર લઇ લીધી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે બે પુત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રએ માતાને ધમકી પણ આપી, કાર પણ લઈ લીધી

નારોલમાં રહેતા વૃદ્ધાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પોતાના બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયુ હતું. પતિના બેન્ક એકાઉન્ટનાં બચત ખાતામાં નોમિની તરીકે ફરિયાદીનું નામ હતું જ્યારે પતિના અવસાન બાદ તેમના એટીએમ અને ડેબીટ કાર્ડ પુત્રએ લઇ લીધા હતા. જ્યારે થોડા સમય પહેલા ફરિયાદીની પુત્રી પિતાની પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગઇ ત્યારે મોટો ભાંડો ફૂટયો હતો. તેમાં એક પુત્રએ એકાઉન્ટમાંથી રૃા. 4.30 લાખ 10 દિવસમાં ઉપાડીને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

ઉપરાંત નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને 10 લાખની બે એફડી હતી તેમાં પણ નોમિનીમાં માતાનું નામ હટાવી પુત્રએ પોતાનું નામ ઉમેર્યુ હતું અને પિતાની ચાર સોનાની વિંટી લઇ લીધી હતી. જેથી માતાએ પુત્રને પૂછતા તને કંઇ નહી મળે કહીને ગાળો બોલીને ઝઘડો કરીને મારી નાખવાની ધમકી આપીને અલગ રહેવા જતો રહ્યો હતો. જ્યારે બીજા પુત્રએ માતાને જાણ કર્યા વગર પિતાની ચેઇન અને કાર પડાવી લીધી હતી.