Get The App

ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા 1 - image


IPS Manoj Ninama Resigns: ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે તેમણે ટિકિટ માગી છે. શામળાજીના વતની IPS હવે ભાજપના કેસરીયા કરશે.

જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાના સંકેત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મનોજ નિનામા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. તેમણે પોતાની નવી રાજકીય કારકિર્દી શરૂ કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. હાલમાં એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઓડ બેઠક પરથી ભાજપ તરફથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી શકે છે. આવતીકાલ સુધીમાં ભાજપની યાદી તેમનું નામ આવી શકે છે. જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવે છે, તો ભવિષ્યમાં તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.

IPS મનોજ નિનામાએ શું કહ્યું?

રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું. હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટેની જવાબદારીઓ નિભાવીશ.


એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા નિનામા હવે 'ખાખી' છોડીને 'ખાદી' ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ આગામી ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે.