Get The App

કમોસમી વરસાદની આડમાં ભરુચ-અંકલેશ્વરના ઉદ્યોગોનું કારસ્તાન, નર્મદામાં પ્રદૂષિત પાણી ઠાલવી દેતા હજારો માછલીના મોત

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
કમોસમી વરસાદની આડમાં ભરુચ-અંકલેશ્વરના ઉદ્યોગોનું કારસ્તાન, નર્મદામાં પ્રદૂષિત પાણી ઠાલવી દેતા હજારો માછલીના મોત 1 - image


Bharuch-Ankleshwar Industries Dumped Polluted Water in Narmada: ગુજરાત સહિત દેશભરમાં અનેક ઉદ્યોગ જૂથો પર્યાવરણ સાચવણીના નિયમો ઘોળીને પી ગયા છે એવું ફરી એકવાર સાબિત થઈ ગયું છે. ભરૂચ-અંકલેશ્વરના ઉદ્યોગોને પણ ના તો પર્યાવરણની પડી છે, ના તો તેને લગતા કાયદાનો ડર છે. કમોસમી વરસાદનો લાભ લઈને અહીંના ઉદ્યોગોએ વરસાદી પાણીનો નિકાલ નર્મદા નદીમાં કરી દીધો, પરંતુ આ સાથે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત દુષિત પાણી પણ સીધું નર્મદા નદીમાં ઠાલવી દીધું. આ દુષિત પાણીના કારણે હજારો માછલીના મોત થયા છે, તેમજ નર્મદા નદી ઉપર સફેદ ફીણ તરતું દેખાવા લાગ્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિ પણ ઉદ્યોગ જૂથોનું આ કારસ્તાન સમજી શકે છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ બોર્ડને તેમની આ ગેરકાયદે પ્રવૃત્તિ નજરે નથી પડતી.

પ્રદૂષિત પાણીથી જળચર જીવોના થયા મોત

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઉદ્યોગ જૂથો આ રીતે કમોસમી વરસાદનો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં કમોસમી વરસાદ વખતે ઉદ્યોગોએ   સંગ્રહ કરેલું પ્રદૂષિત પાણી વરસાદી કાંસ મારફતે અમરાવતી ખાડી, નર્મદા નદી અને ઝઘડિયાની કુબેર ખાડીમાં છોડાતા જળચર જીવો કમોતે મરી રહ્યા છે. અંકલેશ્વરની અમરાવતી નદીમાં પણ જળચર જીવોના મોત થતા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દોડતું થયું છે અને પાણીના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (જીપીસીબી) અનુમાન લગાવ્યું છે કે, ઝઘડિયા તરફની કુબેર ખાડીમાંથી પ્રદૂષિત પાણી આવ્યું છે અને તેના કારણે અમરાવતી ખાડીમાં જળચર જીવોના મોત થયા છે.

આ પણ વાંચોઃ તિરંગાયાત્રામાં ભાજપના ધારાસભ્યએ જામીન પર મુક્ત અસામાજિક તત્ત્વને સાથે રાખતાં લોકોમાં રોષ

પ્રતિમાના વિસર્જન સામે વાંધો પણ પ્રદૂષિત પાણી સામે મૌન

ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં શ્રીજી સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ છે. જળકુંડ ઊભા કરી પ્રતિમાઓનું વિસર્જન કરાતું હોય છે, પરંતુ ઉદ્યોગપતિઓએ બનાવેલા ખાનગી કાંસ મારફતે બારેમાસ ઘર વપરાશનું પાણી અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં સીધે સીધું ઠાલવી દેવાય છે, જેની સામે જીપીસીબીને કોઈ વાંધો નથી.

ઉદ્યોગોના પ્રદૂષિત પાણીથી જ ફીણ થાય તેવું નથી

જોકે, આ મુદ્દે GPCBના અધિકારી વિજય રાખોલિયાનું કહેવું છે કે, 'પવિત્ર નર્મદા નદીમાં સફેદ ફીણ થઈ ગયું છે, તે કોઈ કંપનીના કારણે હોય તેવું માનવું જરૂરી નથી કારણ કે પ્રથમ વરસાદમાં તમામ વિસ્તારમાંથી પાણી આવતું હોય છે અને જમીન પર અનેક પ્રકારનો કચરો હોય છે. વરસાદી પાણી આ કચરાની સાથે મિશ્રિત થઈને નદી સુધી પહોંચે છે, જેના કારણે પણ ફીણ થઈ શકે. આમ છતાં નર્મદા નદીમાં થયેલા ફીણ કયા કારણસર થયા છે તેની જાણકારી મેળવવા સેમ્પલો લઈને તપાસ હાથ ધરાઈ છે.


આ સ્થિતિ રહી તો માછીમારો રોજગારી ગુમાવશે

નદીની આ સ્થિતિ પર માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે, ભરૂચમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, પાલેજ, દહેજ, વાગરા, વિલાયત, જંબુસર સહિતના અનેક તાલુકામાં સંખ્યાબંધ ઉદ્યોગો છે અને ત્યાંનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના નદીમાં છોડાય છે. આ કારણસર માછલીઓ મરી જાય છે. આવી સ્થિતિ રહી તો માછીમારો પણ રોજગારી ગુમાવશે.            

નર્મદા નદીમાં ડૂબકી લગાવવી પણ જોખમી

પવિત્ર નર્મદા નદીના કાંઠે અનેક આધ્યાત્મિક અને ધાર્મિક વિધિનું મહત્ત્વ છે, પરંતુ વિધિ બાદ નર્મદા નદીમાં ડૂબકી મારવી જોખમી છે. ગુરૂવારે માત્ર એક જ કલાકમાં વરસેલા કમોસમી વરસાદમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગોએ પ્રદૂષિત પાણી કાંસ મારફતે સીધું નદીમાં છોડ્યું છે, જેના કારણે નદીમાં મોટા પ્રમાણમાં સફેદ ફીણ જોવા મળી રહ્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ આ માહિતી આપી હતી.

પૈસા બચાવવા પ્રદૂષિત પાણી નદીમાં છોડી દેવાય છે

કોઈ પણ ઉદ્યોગે પ્રદૂષિત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે જ કરવો પડે, પરંતુ પૈસા બચાવવાની લ્હાયમાં તેજ કંપનીમાં ઉત્પાદન ઓછું બતાવવા અનેક ઉદ્યોગ જૂથો પ્રદૂષિત પાણી પર પ્રક્રિયા કર્યા વિના તે સીધું નદીમાં છોડી દે છે. અંકલેશ્વરમાં આમલા, અમરાવતી, છાપરા અને કુબેર ખાડીમાં પ્રદૂષિત પાણીના કારણે હજારો જળચરના મોત થયા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ માહિતી આપતા ઉદ્યોગ જૂથો સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Tags :