તિરંગાયાત્રામાં ભાજપના ધારાસભ્યએ જામીન પર મુક્ત અસામાજિક તત્ત્વને સાથે રાખતાં લોકોમાં રોષ
Ahmedabad Tiranga Yatra Controversy | તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદથી સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં શુક્રવારે સાંજે ધારાસભ્ય દીનેશ કુશવાહની આગેવાનીમાં નીકળેલી તિરંગાયાત્રામાં કુખ્યાત અલ્તાફ બાસી ધારાસભ્ય સાથે જોવા મળતા આ બાબત સમગ્ર બાપુનગર વિધાનસભાના મતદારોમાં ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ પોલીસે બહાર પાડેલી શહેરના અસામાજિક તત્વોની યાદીમાં અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસીના નામનો સમાવેશ કરાયો છે. જે હાલમાં જામીન ઉપર છૂટેલો છે.
ભારત તરફથી પાકીસ્તાનને આપવામાં આવેલા જવાબ પછી દેશભરના અનેક શહેરોમાં ભારતીય સૈન્યના જોમ અને જુસ્સામાં વધારો કરવા તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે. શુક્રવારે સાંજે 6 કલાકે મંછાની મસ્જિદથી બાપુનગર ચાર રસ્તા સુધી સ્થાનિક ધારાસભ્ય દીનેશ કુશવાહની આગેવાનીમાં આયોજન કરાયુ હતુ.
તિરંગાયાત્રામાં રખિયાલમાં જમીન પચાવવાના કેસમાં જેની સામે કેસ ચાલે છે તેમજ જે હાલમાં જામીન ઉપર છૂટેલો છે એવા અલ્તાફબાસીને ભાજપના ધારાસભ્યે તિરંગાયાત્રામાં તેમની સાથે પહેલી હરોળમાં ઉભો રાખ્યો હતો. એક તરફ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરુપે અમદાવાદ પોલીસે યાદી તૈયાર કરી આવા આરોપીઓના મકાન તોડી પાડવા મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ લઈ કામગીરી શરુ કરી છે.ત્યારે ભાજપના ધારાસભ્યે અલ્તાફ બાસીને તિરંગાયાત્રામાં સાથે રાખતા વિવાદ થયો છે.