સફાઈ કામદારોની સુરક્ષાના સાધનો ન હોવા ગંભીર બાબત, મેન્યુઅલ સ્કવેન્જિંગ સમાપ્ત કરવાની બ્લૂપ્રિન્ટ આપે સરકાર: હાઈકોર્ટ
Gujarat High Court: ગટર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેજીંગ દરમ્યાન સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એનરેની ખંડપીઠે રાજયભરમાંથી મેન્યુઅલ સ્કેવેજીંગની પ્રથા કાયમી ધોરણે નાબૂદ થાય તે માટેની નક્કર રૂપરેખા (બ્લુ પ્રિન્ટ) રજૂ કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે સરકારની ટીકા કરતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેન્યુઅલ સ્કેવેજીંગના કારણે મૃત્યુના સમાચાર ખરેખર હતાશાજનક અને નિરાશ કરનારા છે. વળી, ચોમાસાની ઋતુ ચાલે છે અને તેવા સમયે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કામદારોને સુરક્ષાના મજબૂત સાધનો ન હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.
હાઇકોર્ટનું આકરું વલણ
હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતાં રાજયમાંથી મેન્યુઅલ સ્કેવેજીંગની પ્રથા કાયમી ધોરણે નાબૂદ થાય તે ખૂબ જરૂરી છે. હાઇકોર્ટે સરકારને આ મામલે નક્કર બ્લુ પ્રિન્ટ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી 8મી ઓગસ્ટના રોજ રાખી હતી.
આ પણ વાંચોઃ ધ્રાંગધ્રાના જીવા ગામે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથ વચ્ચે ધીંગાણુંમાં ફાયરિંગ
કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયો
જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અમદાવાદ શહેરમાં જજીસ બંગલો વિસ્તારમાં મેન્યુઅલ સ્કેવેજીંગ દરમિયાન સફાઈ કામદારની મોતની ઘટનામાં કોન્ટ્રાકટર સામે શું પગલાં લેવાયા તે બાબતે પૂછપરછ કરાઈ હતી, જેના જવાબમાં સરકાર તરફથી જણાવાયું હતું કે, કસૂરવાર કોન્ટ્રાકટરને ગેરલાયક ઠરાવીને તેને બ્લેકલિસ્ટ કરાયો છે. આ ઉપરાંત, હવે કોન્ટ્રાકટર પાસેથી બાંહેધરી પણ લેવામાં આવે છે કે, કોઇપણ કામદારને ગટરમાં ઉતારાશે નહી કે, મેન્યુઅલ સ્કવેજીંગ નહી કરાવાય.
આ પણ વાંચોઃ સાયલા ગ્રામ પંચાયત કચેરી બહાર 3 સફાઇ કર્મચારી ઉપવાસ આંદોલન પર ઉતર્યા
સરકારે આપ્યો જવાબ
આ દરમિયાન તાજેતરમાં શહેર સહિત રાજયભરમાં મેન્યુઅલ સ્કેવેજીંગની ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને વળતર ચૂકવવા સંબંધિત માહિતી કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ કેસમાં હાઇકોર્ટના આકરા વલણને પગલે ખુદ રાજય સરકાર તરફથી પણ અગાઉ સ્વીકાર કરાયો હતો કે, રાજયભરમાં મેન્યુઅલ સ્કેવેજીંગની પ્રથા બંધ થાય તે ખૂબ જરૂરી છે. કામદારને ગટરમાં સફાઈ માટે ઉતારવા કે મેન્યુઅલ સ્કેવેજીંગ માટે પ્રતિબંધ છે જ અને તેથી ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી કરવાની રહે છે. કોઈને પણ ગટરમાં ઉતારવાની ફરજ પાડી શકાય નહી.