ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી

Nadiad Bus Fire: રાજસ્થાનના જૈસલમેરમાં મંગળવારે (14 ઓક્ટોબર) બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે 20થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જોકે, આ ઘટનાના 24 કલાક પૂરા નથી થયા ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી.
આ પણ વાંચોઃ VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 20થી વધુના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલ્વે ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી. પાવાગઢથી બાવળા તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ભૂમેલ રેલ્વે ઓવર બ્રિજ પર બસમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
સદભાગ્યે, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસને રોકી દીધી હતી અને તેમાં સવાર 20 થી 25 જેટલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ મોટી જાનહાનિ ટળી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર
ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી આગ કેમ લાગી તે વિશે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ, આ ઘટનામાં લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.