Get The App

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 1 - image

 

Gujarat Election News : આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. 

મતદાનને લગતા તમામ આંકડા અને માહિતી જોવા માટે CLICK HERE

Gujarat Election LIVE UPDATES 

કચ્છમાં પણ અમદાવાદ જેવી હાલત, મતદારો બુથ શોધવા રઝળ્યા 

અમદાવાદની જેમ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં ભુજ શહેરના મતદારોએ બુથ શોધવા ફાંફા મારવા પડી ગયા હતા. સ્પષ્ટ માહિતીના અભાવે આવી હાલત થઈ હતી. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથકની યોગ્ય વિગતો ન હોવાથી મતદારોમાં રોષ દેખાયો. 

કઈ નગરપાલિકામાં કેટલું મતદાન : સૌથી વધુ વાવ થરાદમાં તો સૌથી ઓછું રાજકોટ નગરપાલિકામાં 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 2 - image

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 3 - image

અમદાવાદમાં અત્યાર સુધી સૌથી ઓછું 12.01% મતદાન, જુઓ મહાનગરપાલિકાઓના આંકડા 

11 વાગ્યા સુધીના આંકડા અનુસાર અમદાવાદમાં અત્યાર સુધી સૌથી ઓછું 12.01% મતદાન નોંધાયું છે. જ્યારે મોરબીમાં સૌથી વધુ 25.16% મતદાન નોંધાયું છે. 

મહાનગરપાલિકાનું નામમતદાનની ટકાવારી (%)
મોરબી25.16%
મહેસાણા24.38%
નડીયાદ23.41%
નવસારી23.29%
વાપી23.28%
કરમસદ-આણંદ22.47%
ભાવનગર18.13%
વડોદરા17.85%
રાજકોટ16.28%
સુરત15.95%
સુરેન્દ્રનગર15.36%
ગાંધીધામ14.91%
જામનગર14.57%
પોરબંદર14.39%
અમદાવાદ12.01%


અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નખાતા હોબાળો 

અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે. 

રાજકોટમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસી ઉમેદવાર સહિત 20ની અટકાયત 

રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી 100 મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં આ મામલો થોરાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 

અમદાવાદમાં પણ ઈવીએમ ખોટકાયું 

મળતી માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જી બી શાહ કોલેજમાં મતદાન મથકે ઈવીએમમાં ગરબડ થયાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારોનું બટન જ દબાવાતું નથી તેવી ફરિયાદો મળી છે. જેને લઈને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. જોકે ફરિયાદ બાદ ઈવીએમ બદલાયાની માહિતી સામે આવી છે. 

ગોધરામાં લગ્નના માંડવેથી વરરાજા પહોંચ્યા મતદાન મથકે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 4 - image

છોટા ઉદેપુરના ધંધોડા ગામે બે દુલ્હન પીઠી લગાડી મતદાન કરવા પહોંચી 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 5 - image

મહેસાણામાં ચૂંટણી બહિષ્કાર 

મહેસાણા જિલ્લાના દેલા ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવા મુદ્દે અમે આ બહિષ્કાર કરી રહ્યા છીએ. બે કલાકથી મતદાન શરૂ થઇ ગયું છતાં હજુ કોઈ મતદાન કરવા આવ્યું નથી. 

દિવ્યાંગોને પોલીસકર્મી ઊંચકીને મતદાન કરવા લઈ ગયા 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 6 - image

વૃદ્ધોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ, પોલીસે કર્યો સહયોગ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 7 - image

પીઠી ચોળેલી યુવતી મતદાન કરવા પહોંચી 

નસવાડી તાલુકાના મોધલા ગામે લગ્ન પહેલા પીઠી ચોળેલી યુવતી કાજલ નાયકે લગ્ન ના ફેરા ફરતા પહેલા પ્રથમ વખત મતદાન કર્યું. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 8 - image

મતદાનના પ્રારંભિક આંકડા

રાજ્યમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% જેટલું ધીમું પણ સ્થિર મતદાન નોંધાયું છે. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 4%, 84 નગરપાલિકાઓમાં 6.50%, 34 જિલ્લા પંચાયતોમાં 4% અને 260 તાલુકા પંચાયતોમાં 5% સરેરાશ મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં લોકશાહીના પર્વને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

ટેકનિકલ ખામી અને વ્યવસ્થાના અવરોધો

મતદાન પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ અડચણો પણ સામે આવી છે. ભરૂચમાં ચાલુ મતદાને વીજળી ગુલ થતાં મતદારોને મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, જામનગરમાં EVM મશીન ખોટકાવવાના કારણે મતદાન પ્રક્રિયા એક કલાક મોડી શરૂ થઈ હતી. રાજ્યના અનેક વિસ્તારોમાંથી ટેકનિકલ ખામીઓને કારણે મતદાન અટક્યું હોવાની ફરિયાદો ઉઠી છે.

લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ

તમામ અવરોધો વચ્ચે મતદારોનો ઉત્સાહ પ્રેરણાદાયી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના વૃદ્ધ દાદી અદમ્ય ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. તો ગોંડલના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્નની જાન પ્રસ્થાન કરતા પહેલા કન્યા શાળામાં મતદાન કરી પોતાની નાગરિક ફરજ બજાવી હતી, જે આ ચૂંટણીના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

1 કલાકમાં સરેરાશ 5% મતદાન 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયાને એક કલાક પૂર્ણ થતાં આંકડા પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી ઘણી બેઠકો એવી રહી છે જ્યાં મતદાન લગભગ એક કલાક થયા છતાં શરૂ નથી થયું કેમ કે ઈવીએમમાં ગરબડ થઈ ગઇ હતી. જોકે સરેરાશ બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5% જેટલું મતદાન નોંધાયું છે. 

રાજકોટ: વોર્ડ નં. 15માં EVM ખોટકાયું, મતદારોમાં રોષ

રાજકોટના વોર્ડ નંબર 15માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વહેલી સવારથી EVM મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી. અડધો કલાકથી વધુ સમય વીતવા છતાં મશીન ચાલુ ન થતા અનેક લોકો મતાધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આ મામલે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જાણીજોઈને મતદાન પ્રક્રિયા ધીમી પાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, તંત્ર દ્વારા મશીન વહેલી તકે કાર્યરત કરવાના વાયદા આપવામાં આવ્યા હતા.

નવસારીમાં પણ 7 વાગ્યા પછી પણ મતદાન શરૂ ન થયું 

નવસારીની કોન્વેન્ટ હાઈસ્કુલમાં આવેલા મતદાન મથકે વોર્ડ નંબર 13માં પણ મતદાન ન શરૂ થતાં લોકો રોષે ભરાયા હતા. કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડે ગુસ્સો ઠાલવ્યો હતો. 

4.02 કરોડ મતદારો 25551 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 25551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.  

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 9 - image

ગોધરામાં મતદાન મથકે આગ ભડકી 

ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારની અટકાયત, કચ્છ-અમદાવાદમાં મતદારો બુથ શોધવા રઝળ્યા 10 - image

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે મતદારોનો ઉત્સાહ ઊંચો 

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની 'સેમીફાઈનલ' તરીકે જોવામાં આવે છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી)માં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જ્યાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. 

જામનગરમાં ઈવીએમ ખોટકાતા એક કલાક મોડું મતદાન શરૂ થયું 

જામનગરની એક બેઠક પર ઈવીએમ બગડતાં મતદારો રઝળી પડ્યા હતા. આખરે એક કલાકની દોડધામ બાદ ઈવીએમની ગરબડ દૂર થતાં મતદાન એક કલાક બાદ શરૂ થયું હતું. 

આણંદમાં ચૂંટણી પહેલાં હિંસા: વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો

આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મનપાની કેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ?

આ ચૂંટણીમાં કુલ 15 મહાનગરપાલિકાઓની 43 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેના કારણે હવે બાકીની 1001 બેઠકો પર રસાકસી જામી છે. 1.10 કરોડથી વધુ મતદારો આજે કુલ 3145 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે, જેના પરિણામો આગામી 28 એપ્રિલે જાહેર થશે.

ભાજપની સભામાં સવાલ કરનાર ગ્રામજનને સાંસદની સામે ફટકારાયો 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે એક એવી શરમજનક ઘટના બની હતી કે જેનાથી મતદારોનો રોષ વધી શકે છે. મતદારોને રીઝવવા ગામે ગામે સભાઓના આયોજન કરાયા હતા. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે ભાજપની એક સભામાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જ એક જાગૃત નાગરિકે સવાલ કરવાની હિંમત બતાવતા નેતાના સમર્થક અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય દલીલબાજી વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે. 

સુરતમાં પણ ઈવીએમ બગડ્યું 

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88 પર ટેકનિકલ ખામીને કારણે EVM મશીન અચાનક બંધ પડી ગયું હતું. મશીન ખોટકાવવાને લીધે વહેલી સવારથી ઉત્સાહભેર આવેલા મતદારોને થોડો સમય હાલાકી ભોગવવી પડી હતી અને મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ચૂંટણી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને અન્ય EVM મશીનની વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે શરૂ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

નવી રચાયેલી 9 મનપામાં પહેલીવાર ચૂંટણી

ગુજરાતમાં 15 વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરી શાસન વ્યવસ્થામાં મોટો બદલ જોવા મળ્યો છે, જ્યાં 2025માં નવી રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢ સમાન ગણાતા શહેરી વિસ્તારોમાં પકડ વધુ સુદ્રઢ કરવાના હેતુથી નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેની હવે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ વર્ષ 2002માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. આ વખતે રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજ્યના રાજકીય ફલક પર વિકાસ અને સત્તાના સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

કયા પક્ષના કેટલા ઉમેદવારો? 

આ વખતે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની લગભગ 700 જેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ ચૂકી છે.  આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભાજપના 9596, કોંગ્રેસના 8443 ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીના 5261 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. જ્યારે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. કુલ 4.02 કરોડમાં શહેરી મતદારો 1.40 કરોડ છે. 

વડોદરામાં ઈવીએમ ખોટકાયું 

મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુરમાં અંબે સ્કૂલમાં મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મતદારો અકળાયા હતા. 

બનાસકાંઠાના અમીર ગઢમાં ઈવીએમમાં ગરબડ 

બનાસકાંઠાના અમીર ગઢમાં પણ ઈવીએમમાં ગરબડના અહેવાલ આવતા મતદારો રોષે ભરાયા હતા. 

પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત 

પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ છે. જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 11 મળી કુલ 28 બેઠકો માટે 1 લાખ 32 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 159 જેટલા મતદાન મથકો પર મતદારો માટે પાણી અને મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને હાલાકી ન પડે. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.